Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સંસદનું સત્ર શરૂ થવા સાથે ખેડૂત આંદોલનની ચિમકી

લણણી અંગેના ત્રણ આદેશો વિરુદ્ધ ખેડૂતો અકળાયા : સોમવારથી શરૂ થતા સત્રમાં સરકારની ખેતીવાડી અને પાકની લણણી બાબતના ૩ આદેશ મંજૂર કરાવવા યોજના

નવી દિલ્હી, તા. ૧૨  : સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર ખેતીવાડી અને પાકની લણણી બાબતના પોતાના ત્રણ આદેશો મંજૂર કરાવવાની યોજના ઘડી રહી છે ત્યારે આ ત્રણ આદેશ વિરુદ્ધ ખેડૂતો ઉશ્કેરાયા છે. સમગ્ર દેશમાં ખેડૂતોએ જોરદાર આંદોલનની ધમકી પણ ઉચ્ચારી છે.

વિપક્ષ કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ લોકદળે ખેડૂતોને ટેકો જાહેર કરી દેતાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું. શાસક પક્ષ ભાજપ અને જજપાના ગઠબંધનમાં ટકરાવ થાય એવો માહૌલ સર્જાયો હતો. કેન્દ્ર સરકારે પાક ખરીદવા અંગે ઘડેલા ત્રણ આદેશો પોતાને અન્યાયકર્તા હોવાનું ખેડૂતો માનતા હતા. હજુ તો એક દિવસ પહેલાં ભારતીય કિસાન યુનિયને કુરુક્ષેત્રના પિપલી વિસ્તારમાં હાઇવે પર ચક્કાજામ સર્જ્યો હતો. એના પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ પણ સર્જાઇ હતી. દેખાવકારોના નેતા ગુરનામ સિંઘ ચાદુના સામે પોલીસે કેસ પણ કર્યો હતો. જો કે તેથી ખેડૂતોનું આંદોલન અટકી જાય એવી શક્યતા નહોતી.

નવા આદેશ મુજબ હવે વેપારીઓ મંડી (બજાર)ની બહારથી પણ  ખેડૂતોના પાકને ખરીદી શકશે, અગાઉ માત્ર મંડીમાંથી પાક ખરીદી શકતા હતા. સાથોસાથ કેન્દ્ર સરકારે દાળ, બટેટા, કાંદા, અનાજ, ખાદ્ય તેલ વગેરેને જીવન આવશ્યક ચીજોની યાદીમાંથી મુ્ક્ત કરી દેતાં એનો સ્ટોક કરવાની શક્યતા આપોઆપ ખતમ થઇ જતી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારે કોન્ટ્રેક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની નીતિની દિશામાં કામ શરૂ કર્યું હતું. આ બધી બાબતોથી ખેડૂતો નારાજ થયા હતા. ખાસ કરીને પહેલો આદેશ એમને ગમ્યો નહોતો.

ખેડૂતો માનતા હતા કે બજારમાંથી પાક ખરીદવાની નીતિથી ખેડૂતોને લઘુતમ કિંમત મળી જતી હતી. બજારની બહાર વેચવાની વાતથી એ શક્યતાનો છેદ ઊડી જતો હતો. ખેડૂતોએ ધમકીના સ્વરે કહ્યું હતું કે આ આદેશ રદ કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું.

(8:53 pm IST)