Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

બાંગ્લાદેશના ઘુસણખોરોને બહાર કરાશે : અમિત શાહ

એનઆરસીના ડ્રાફ્ટનો મુદ્દો પણ ઉઠાવ્યો : રાજસ્થાનમાં શક્તિકેન્દ્ર સંમેલનને સંબોધતા વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા : રાજસ્થાનમાં પાર્ટીની જીત થશે

જયપુર, તા. ૧૧ : બાંગ્લાદેશી ઘુસણખોરોના મુદ્દા પર ભાજપે ફરીએકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટી પ્રમુખ અમિત શાહે આજે કહ્યું હતું કે, આવા ઘુસણખોરોને દેશની બહાર કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં આવશે નહીં. પાર્ટી કાર્યકરોના શક્તિ કેન્દ્રને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપનો સંકલ્પ છે કે, એકપણ બાંગ્લાદેશી ઘુસણખોરને દેશમાં રહેવા દેવામાં આવશે નહીં. આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રાર (એનઆરસી) ડ્રાફ્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આને લઇને ઘણા રાજકીય પક્ષો હોબાળો મચાવી રહ્યા છે પરંતુ ભાજપ સરકાર બાંગ્લાદેશી ઘુસણખોરોને બહાર કરવા માટે કટિબદ્ધ છે. શાહે કહ્યું હતું કે, વોટબેંકની ચિંતા કરનાર લોકો માનવ અધિકારની વાત કરે છે પરંતુ તેમને આ દેશના ગરીબ લોકોની ચિંતા નથી.

પાકિસ્તાની વિસ્થાપિત હિન્દુઓના મુદ્દા ઉપર શાહે કહ્યું હતું કે, અમે સિટિઝન સુધારા બિલ લઇને આવ્યા છે જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, અફગાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા શીખ, બૌદ્ધ, હિન્દુ અને જૈન ઘુસણખોરો નહીં બલ્કે આ લોકો શરણાર્થીઓ છે. તેમને નાગરિકતા આપવામાં આવશે. આ રેલી પહેલા અમિત શાહે શહેરના મોટીડુંગરી ગણેશ મંદિર જઇને દર્શન કર્યા હતા. અમિત શાહ એક દિવસના કાર્યક્રમના ભાગરુપે રાજસ્થાન પહોંચ્યા હતા. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષમાં જ યોજાનાર છે. આ રેલી ઉપરાંત  જુદા જુદા કાર્યક્રમોમાં અમિત શાહ પહોંચ્યા હતા. અન્ય બેઠકોમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ અહીં એરપોર્ટ પર પહોંચ્યા બાદ તરત જ મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્ય ભાજપના અધ્યક્ષ મદનલાલ સૈની, જયપુરના સાંસદ રામચરણ બોહરા, સામાજિક ન્યાયમંત્રી અરુણ ચતુર્વેદી અને આરોગ્યમંત્રી કાલીચરણ સરાફા પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે દાવો કર્યો હતો કે, રાજસ્થાનમાં પાર્ટી સત્તા ટકાવી રાખવામાં સફળ રહેશે. વિપક્ષ પાસે કોઇ નેતા નથી. તેમની કોઇ રણનીતિ પણ નથી.

(12:00 am IST)