Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

મોરબીના રાજમાતા શ્રી વિજયકુંવરબા સાહેબના પુત્રી રાજકુમારી પૂર્ણાબાનું સિંગાપુર મુકામે હાર્ટએટેક આવતા નિઘન

મોરબીના રાજકુમારી હર્ષદકુમારી (પૂર્ણા બા)નું સિંગાપુર મુકામે દુઃખદ નિધન થયું છે. મોરબી પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. મોરબી રાજ પરિવાર શોકાતુર બન્યો છે.

મોરબીના મહારાજા સ્વ.મહેન્દ્રસિંહજી અને વિદ્યમાન રાજમાતા શ્રી વિજયકુંવરબા સાહેબ ઓફ મોરબીના સુપુત્રી મહારાજ કુમારી હર્ષદદેવી (પૂર્ણા બા)નું શ્રાવણ વદ સાતમ ને મંગળવાર,તારીખ ૧૧/૦૮/ ૨૦૨૦ના સિંગાપુર મુકામે હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયેલ છે..

મોરબીના રાજકુમારી હર્ષદદેવી (પૂર્ણા બા)ના દુઃખદ નિધનના પગલે સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી ફેલાયેલ છે.

સ્વ.હર્ષદદેવી મોરબી પંથકમાં પૂર્ણા બાપાના નામથી જાણીતા હતા અને તેઓશ્રીના મિલનસાર ઋજુ સ્વભાવ અને ઇતિહાસ તેમજ મોરબી પ્રત્યેની આગવી લાગણી અને નાનામાં નાના માણસ પ્રત્યે આત્મીયતા સાથે દરેક સાથે તેઓના અંતરંગ સ્નેહસબંધ, દરેકની વ્યકિતગત અંગત દેખરેખની ભાવનાથી, તેઓ મોટાથી લઈને નાનામાં નાના માણસમાં અતિ લોકપ્રિય હતા.

તેઓશ્રીનું નાની ઉમરે સિંગાપુર મુકામે હાર્ટ એટેકથી નિધન થયાના સમાચારથી મોરબી રાજ પરિવારમાં  ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. મોરબી રાજ પરિવાર ઉપર વજ્રાઘાત સમાન આ સમાચારથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત સહિત દેશ વિદેશ સ્થિત રાજવી પરિવાર દ્વારા સ્વ.હર્ષદદેવી (પૂર્ણા બાપા)ના દુઃખદ નિધન અંગે ટેલીફોનીક શોક સંદેશ સાથે દિલાસો વ્યકત કરી સ્વ.શ્રીના દિવ્યાત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરાઈ છે. કોરોના મહામારીને અનુલક્ષી સ્વ.શ્રીના બેસણા અને લૌકિક પ્રથા બંધ રાખેલ હોવાનું રાજપરિવાર વતી મહારાજ કુમારી સાહેબા રૂક્ષ્મણી દેવી દ્વારા એક યાદીમાં જણાવાયેલ છે..... મોરબીવાસીઓને નમ્ર અપીલ સાથે પોતાની લાગણી ટેલીફોનીક પાઠવવા તેઓશ્રીએ વિનંતી કરી છે.

(4:06 pm IST)