Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અયોધ્યામાં શ્રી રામ મંદિર અંકોરવાટ શૈલીમા બનવું જોઈએ : અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભૂમિપૂજન ના મુહૂર્ત ઉપર સવાલ ઉઠાવનાર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનુ નિવેદન

મંદિર વિવાદ ઉકેલવાની તૈયારી તરફ પહોંચી ગયા હતા પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ છેલ્લી ક્ષણમાં ફરી જતા હતા તેઓ મંદિર વિવાદનો ઉકેલ લાવવા માગતા નહોતા : આ મુદ્દો ભાજપની રાજનીતિ માટે પૂરો કરવા માટે તૈયાર થતા નહોતા

ભોપાલ : અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભૂમિપૂજન ના મુહૂર્ત ઉપર સવાલ ઉઠાવનાર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ ઉપર શ્રી રામ મંદિર ભવ્ય અંકોરવાટ શૈલીમા  બનવું જોઈએ, પરંતુ તેમાં મુશ્કેલી અયોધ્યામાં સ્થિત ગર્ભગૃહની છે જે સાંકડી ગલીઓમાં આવેલ છે. નરસિંહપુર જિલ્લાના જોતેસ્વર માં આશ્રમે થી તેઓએ પત્રકારો સાથે વાત કરી હતી.

     પૂ. શંકરાચાર્ય સ્વરૂપાનંદજીએ કહ્યું હતું કે હું મંદિર નો વિરોધી ક્યાંથી થઈ ગયો ? શ્રી રામ જન્મભૂમિમા મંદિર બને તે માટે ખુબ જ ખૂન પસીનો એક કર્યો છે અને મંદિર વિવાદ ના નિરાકરણ માટે વારંવાર મીટીંગોમાં પણ ગયો છું. હું પહેલો એવો વ્યક્તિ છું જે તથ્યો સાથે કહું છું કે વિવાદીત જગ્યા ઉપર મસ્જિદ નહીં પરંતુ મંદિર છે. આ જગ્યા ઉપર અનેક સ્તંભોમાં દેવી-દેવતાઓના શિલ્પો પણ જોવા મળ્યા છે.

       પૂ. શંકરાચાર્યજી એ જણાવ્યું હતું કે મંદિર વિવાદ ઉકેલવા ની તૈયારી તરફ પહોંચી ગયા હતા પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ છેલ્લી ક્ષણ માં ફરી જતા હતા તેઓ મંદિર વિવાદનો ઉકેલ લાવવા માગતા નહોતા. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર થી લઈને પી.વી.નરસિંહરાવ અને જૈન મુનિ આચાર્ય સુશીલે પણ આ વિવાદ ઉકેલવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા હતા. તેઓ ની વાતો મુસ્લિમ સમાજના લોકો પણ માનવા તૈયાર થઈ ગયા હતા પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ આ મુદ્દો ભાજપ ની રાજનીતિ માટે પૂરો કરવા માટે તૈયાર થતા નહોતા.

        પૂજ્ય શંકરાચાર્યજી સ્વામીએ જણાવ્યું હતું કે ૧૯૪૨માં અંગ્રેજો સામે સ્કૂલના દિવસોમાં આંદોલનમા સામેલ થયો હતો. બે વખત જેલ પણ ગયો છું તે સમયે મને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ઓળખવામાં આવ્યો હતો આઝાદીના આંદોલનના તો કોંગ્રેસ પાર્ટી જોડાયેલી હતી જનસંઘના નેતા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી પણ કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા પરંતુ વાત કોંગ્રેસ કે ભાજપ ની નથી.

     પૂજ્ય શંકરાચાર્ય સ્વરૂપાનંદજીએ જણાવ્યું કે દિલ્હીમાં થયેલા ગૌરક્ષા આંદોલનમાં હું જેલમાં પણ ગયો હતો જે ઘણા ઓછા લોકો જાણે છે મને મંદિર વિરોધી શા માટે કહેવાય છે તે સમજાતું નથી. મેં તો ફક્ત એમ કહ્યું હતું કે હિંદુ ધર્મ વેદોથી ચાલે છે વેદોમાં ભૂમિ પૂજન નું મહત્વ ખૂબ જ છે આ દિવસોમાં ભગવાન શયન ઉપર છે જેથી કોઈપણ શુભ કાર્યના થવા જોઈએ આ કાર્ય બે મહિના પછી પણ થઈ શકતું હતું જ્યારે દેવ ઉઠી અગિયારસ આવે ત્યારે આ કાર્ય કરી શકાય. પરંતુ મંદિર નું ભૂમિ પૂજન રાજકીય  રીતે કરવામાં આવ્યું હતું કોઈ બોલતું ન હતું પરંતુ હું તો બોલીશ જ.

      કારણકે મને હિન્દુ ધર્મનું જ્ઞાન છે અને ધર્મમાં શું સાચું છે અને શું ખોટું છે તેનો મને ખ્યાલ છે તેથી તો મને આ પદ ઉપર બેસાડવામાં આવ્યો છે.

(1:30 pm IST)