Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જે વિષય પર ખબર ન હોય તેના પર સંશોધન કરો : હાઈકોર્ટ

તાજ મહેલના ૨૨ રૃમ ખોલાવવાની અરજી પર સુનાવણી : પીઆઈએલ વ્યવસ્થાનો દુરૃપયોગ ન કરશો : કોર્ટ

અલ્હાબાદ, તા.૧૨ : આગ્રા સ્થિત તાજ મહેલના ૨૨ રૃમ ખોલાવવાની અરજી મામલે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે, જનહિત અરજી (પીઆઈએલ) વ્યવસ્થાનો દુરૃપયોગ ન કરશો. તમે કાલે આવીને એમ કહેશો કે, અમને માનનીય જજની ચેમ્બરમાં જવા માટે મંજૂરી જોઈએ છે.

જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચે તાજ મહેલના ૨૨ રૃમ ખોલવાની અરજી પર સુનાવણી કરી હતી. હાઈકોર્ટે અરજીકર્તાને કહ્યું કે, તમે એવું માનો છો કે, તાજ મહેલને શાહજહાંએ નથી બનાવ્યો? શું આપણે અહીં કોઈ નિર્ણય સંભળાવવા આવ્યા છીએ? જેમ કે, આને કોણે બનાવડાવ્યો કે તાજ મહેલની ઉંમર શું છે? હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, તમને જે વિષય અંગે ખબર ન હોય તેના પર સંશોધન કરો, જાઓ એમએ કરો, પીએચડી કરો. જો કોઈ સંસ્થા તમને રિસર્ચ ન કરવા દે તો અમારા પાસે આવજો. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ અરજીની સુનાવણી ટાળશે નહીં. તમે તાજ મહેલના ૨૨ રૃમની જાણકારી કોના પાસે માગી? હાઈકોર્ટના સવાલના જવાબમાં અરજીકર્તાના વકીલે જણાવ્યું કે, અમે ઓથોરિટી પાસે જાણકારી માગી. તે મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, તેમણે કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર રૃમ બંધ છે તો આ જાણકારી છે. જો તમે સંતુષ્ટ ન હોવ તો તેને પડકાર આપો. મહેરબાની કરીને એમએના અભ્યાસ માટે રજિસ્ટ્રેશન કરાવો, પછી નેટ, જેઆરએફ માટે જાઓ અને જો કોઈ વિશ્વવિદ્યાલય તમને આવા વિષય પર સંશોધન કરવા ઈનકાર કરે તો અમારા પાસે આવો. અરજીકર્તાએ જણાવ્યું કે, મહેરબાની કરીને મને તે રૃમમાં જવાની મંજૂરી આપો. તેના જવાબમાં હાઈકોર્ટે આકરા સૂરે કહ્યું કે, કાલે આવીને તમે અમને માનનીય જજોની ચેમ્બરમાં જવા માટે કહેશો? મહેરબાની કરીને જનહિત અરજી પ્રણાલીની મજાક બનાવવાનું બંધ કરો. આ અરજી અનેક દિવસોથી મીડિયામાં ફરી રહી છે અને હવે તમે સમય માગી રહ્યા છો?

 

(7:54 pm IST)