News of Thursday, 12th May 2022
હનુમાનગઢઃ રાજસ્થાનમાં ફરી તંગદીલીનો માહોલ સર્જાયો છે. રાજસ્થાનના હનુમાનગઢમાં વિએચપીના નેતા પર હૂમલો થયો હતો. જેના કારણે હનુમાનગઢના તણાવનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરો દ્વારા રેલી કાઢી રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશના રાજગઢમાં બે સમુદાય વચ્ચે અથડામણ થઇ હતી અને આ દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો તેમજ ઘરમાં આગચંપી પણ થઇ હતી.
રાજસ્થાનમાંથી ફરી એકવાર તણાવના અહેવાલ આવી રહ્યા છે. ભીલવાડા બાદ હનુમાનગઢમાં હિંસક ઘર્ષણ થયું છે. મળતી માહિતી મુજબ હનુમાનગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના સ્થાનિક નેતા પર હુમલો થયા બાદ તણાવ વધ્યો. હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ રસ્તા જામ કરી દીધા. હાલ વીએચપી નેતાને બીકાનેર હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. બીજી બાજુ મધ્ય પ્રદેશથી પણ હિંસાના અહેવાલ આવી રહ્યા છે.
મધ્ય પ્રદેશના રાજગઢમાં તણાવ
મધ્ય પ્રદેશના રાજગઢ વિસ્તારના કરેડી ગામમાં બે સમુદાયો વચ્ચે જૂથ અથડામણ થઈ. આ દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો કરાયો અને ઉપદ્રવીઓએ ઘરોમાં આગચંપી પણ કરી. ગત રાતે ઘટેલા આ ઘટનાક્રમમાં બે સમુદાય વચ્ચે જમીન વિવાદે સાંપ્રદાયિક સ્વરૂપ ધારણ કરી લીધુ. સ્થિતિ વણસી જતા બંને સમુદાયો તરફથી પથ્થરમારો થયો અને કેટલાક ઘરોમાં આગચંપી કરાઈ. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બે અલગ અલગ સમુદાયના લોકોના ઘરમાં આગચંપી થઈ હતી. રાજગઢ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉમેશ યાદવ જ્યારે અન્ય પોલીસકર્મીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા તો ઉપદ્રવીઓએ તેમના ઉપર પણ પથ્થરમારો કર્યો.
હનુમાનગઢમાં પણ હિંસા
હનુમાનગઢ જિલ્લાના નોહરમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા સતવીર સહારણ પર કેટલાક યુવકોએ હુમલો કર્યો ત્યારબાદ સ્થિતિ વણસી. ઘાયલ સતવીરને નોહરથી હનુમાનગઢ રેફર કરાયા જ્યાં પ્રાથમિક સારવાર બાદ બીકાનેર રેફર કરાયા. આ ઘટના બાદ વીએચપીના કાર્યકરો આક્રોશમાં આવી ગયા અને રસ્તા જામ કર્યા. તેમનું એમ કહેવું છે કે નોહરમાં નોહરમાં એક મહિલા અને એક વ્યક્તિએ સતવીરને કહ્યું કે કેટલાક યુવકો મંદિર સામે બેસી રહે છે અને છેડતી કરે છે. જ્યારે સતવીર પૂછપરછ માટે પહોંચ્યા તો તેમણે ઝઘડો શરૂ કરી દીધો અને લોઢાના સળિયાથી સતવીરને ઈજા પહોંચાડી જેના કારણે તે ગંભીર ઘાયલ થયા.