News of Thursday, 12th May 2022
નવી દિલ્હી,તા. ૧૨ : માસિક ધર્મ વખતે સુરક્ષા માટે ૧૫-૨૪ વર્ષની લગભગ ૫૦ ટકા મહિલાઓ હજુ કપડુ જ વાપરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે (NFHS)ના અહેવાલમાં નિષ્ણાંતોએ આ બાબત માટે મહિલાઓમાં જાગૃતિનો અભાવ અને માસિક ધર્મ અંગે છોછની ભાવનાને જવાબદાર ગણાવ્યા હતા.
નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે, અસ્વચ્છ કપડાનો ફરી ઉપયોય કરાય તો તેને લીધે અન્ય ઘણા ચેપ લાગી શકે છે. તાજેતરમાં NFHS-૨૫ સરવેમાં ૧૫-૨૪ વર્ષની મહિલાઓને પુછવામાં આવ્યુ હતું કે, તે માસિક ધર્મમાં સુરક્ષા માટે કઇ પધ્ધતિનો ઉપયોગ કરે છે ? તેના જવાબમાં મળેલી માહિતી અનુસાર ભારતમાં ૬૪ ટકા મહિલાઓ સેનિટરી નેપકિન્સ અને ૫૦ ટકા મહિલાઓ કડપુ વાપરે છે. ૧૫ ટકા મહિલાઓ સ્થાનિક સ્તરે તૈયાર કરાયેલા નેપકિન્સનો ઉપયોગ કરે છે. એકંદરે આ વયજૂથની ૭૮ ટકા મહિલાઓ માસિક ધર્મમાં સુરક્ષા માટે આરોગ્યપ્રદ પધ્ધતિનો ઉપયોગ કરે છે. સ્થાનિક સ્તરે બનતા નેપકિન્સ, સેનિટરી નેપકિન્સ, ટેમ્પન્સ અને મેન્સ્ટ્રુઅલ કપ્સ સુરક્ષા માટેની આરોગ્યપ્રદ પધ્ધતિ ગણાય છે.
ગુરુગ્રામના ડો. આસ્થાદયાલે જણાવ્યુ હતુ કે, ઘણા અભ્યાસમાં દર્શાવાયું છે કે પ્રજનન તંત્રના ચેપને કારણે અન્ય અંગોમાં ચેપ લાગી શકે અને તેને લીધે પેટમાં ચેપ થઇ શકે. આવો ચેપ પેટ સુધી પહોંચી શકતો હોવાને કારણે મહિલાને ગર્ભવતી થવામાં મુશ્કેલી પડી શકે અથવા પ્રેગનન્સી વખતે જુદી-જુદી સમસ્યા થઇ શકે. ઉપરાંત બિનઆરોગ્યપ્રદ પધ્ધતિને કારણે લાંબા ગાળે સર્વાઇકલ કેન્સરનું જોખમ વધે છે. ૧૨કે વધુ વર્ષ સુધી શાળામાં શિક્ષણ મેળવનારી મહિલાઓમાં માસિક વર્ષ વખતે આરોગ્યપ્રદ પધ્ધતિનો ઉપયોગ કરવાની શકયતા શાળાએ નહીં જનારી મહિલાો કરતા બમણી હોય છે. (૨૨.૮)
૧૯ ટકા પરિવારો શૌચાલયનો ઉપયોગ કરતા નથી : NFHS
સરકારે ૨૦૧૯માં ભારતને ખુલ્લામાં શૌચમુકત જાહેર કર્યું હતું પણ NFHSના ૨૦૧૯-૨૧ના ગાળામાં કરાયેલા સરવે અનુસાર ૧૯ ટકા પરિવારો હજુ પણ શૌચાલયની સુવિધાનો ઉપયોગ કરતા નથી. જો કે, અહેવાલમાં જણાવ્યા અનુસાર ખુલ્લામાં શૌચ કરતા પરિવોરનું પ્રમાણ ૨૦૧૫-૧૬ના ૩૯ ટકાથી ઘટીને ૨૦૧૯-૨૧માં ૧૯ ટકા થયું છે. શૌચાલયની સુવિધા બિહારમાં સૌથી ઓછી (૬૨ ટકા) છે. ઝારખંડ (૭૦ ટકા) અને ઓડિશા (૭૧ ટકા) ત્યાર પછીના ક્રમે છે