Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

FPI દ્વારા મે મહિનામાં કુલ ૩૨૦૭ કરોડ પાછા ખેંચાયા

પ્રથમ સાત કારોબારી સત્રમાં જંગી નાણાં ખેંચાયા : ડેબ્ટ માર્કેટમાંથી ૪૫૫૨ કરોડની રકમને પાછી ખેંચાઈ

મુંબઈ, તા.૧૨ : શેરબજારમાં ઉથલપાથલ ગાળા દરમિયાન વિદેશી મુડીરોકાણકારોએ મે મહિનાના પ્રથમ સાત દિવસના કારોબાર દરમયાન ભારતીય મુડી માર્કેટમાંથી ૩૨૦૭ કરોડ રૂપિયા પાછા ખેચી લીધા છે. જોરદાર લેવાલી ઉપર બ્રેક મુકવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારોએ પણ જંગી નાણા ભારતીય બજારમાંથી પાછા ખેચી લીધા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. બીજીથી ૧૦મી મે વચ્ચેના ગાળામાં એફપીઆઈ દ્વારા શેરમાં ૧૩૪૪.૭૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. પરંતુ  ડેબ્ટ માર્કેટમાંથી ૪૫૫૨ કરોડ રૂપિયા પાછા ખેચી લીધા હતા. આની સાથે જ કુલ નાણા પરત ખેચવાનો આંકડો ૩૨૦૭.૪૮ કરોડનો રહ્યો હતો. ૧લી મેના દિવસે મહારાષ્ટ્ર દિવસના કારણે બજારમાં રજા રહી હતી. વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું છે. જાણકાર લોકોનું કહેવુ છે કે, ભારતમાં ચૂંટણી પરિણામ જાહેર ન કરવામાં આવે ત્યા સુધી પ્રવાહી સ્થિતિ રહેશે. કારણ કે, મુડી રોકાણકારો કોઈ જોખમ લેવા તૈયાર નથી.  નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.  સ્થિર સરકાર ચુંટણી બાદ રચાય તેવી આશા પણ દેખાઈ રહી છે.

FPI દ્વારા લેવાલી.....

*   મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૩૨૦૭ કરોડ ખેંચ્યા

*   છેલ્લા સાત કારોબારી સત્રમાં જંગી નાણાં ખેચાયા

*   એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*   પહેલીથી ૧૦મી મે દરમિયાન ઇક્વિટીમાં ૧૩૪૪.૭૨ કરોડનું રોકાણ કરવામાં આવ્યું. સમીક્ષા હેઠળના ગાળામાં ડેબ્ટમાંથી ૪૫૫૨.૨૦ કરોડ પાછા ખેંચાયા

*   ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

*   કેન્દ્રમાં સ્થિર સરકાર બનવાનો આશાવાદ મજબૂત બનતા મૂડીરોકાણમાં વધારો

*   ૨૦૧૯-૧૯ના નાણાંકીય વર્ષમાં ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા

*   ૨૦૧૭-૧૮માં શેરમાંથી ૨૫૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

*   ૨૦૧૭-૧૮માં કુલ રોકાણનો આંકડો ૧૪૪૬૬૯ કરોડ રહ્યો

*   એફપીઆઈ માટે ભારત આકર્ષક રોકાણ કેન્દ્ર બન્યું છે

*   બજારમાં હાલ ઉતાર ચઢાવનો દોર રહેશેએફપીઆઈની સ્થિતિ

મુંબઈ, તા.૧૨ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:58 pm IST)