Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

કેન્દ્રિય દળોના વેશમાં સંઘના કાર્યકરો પહોચ્યા છે : મમતા

ભાજપ અને સંઘના કાર્યકરો સક્રિય થયા છે : મતદારોને ભાજપની તરફેણમાં મત આપવા કેન્દ્રીય દળો ફરજ પાડી રહ્યા છે : મમતા બેનર્જીએ મોટો આક્ષેપ કર્યો

કોલકાતા,તા.૧૨ : પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ભાજપ સરકાર પર મતદારોને પ્રભાવીત કરવા માટે કેન્દ્રીય દળોના પ્રયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમને શંકા છે કે, ભાજપ અને સંઘના કાર્યકરો ચૂંટણી માટે દળોના વર્ધી પહેરીને રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, દેશ સ્થાયી અને નિર્ણાયક વડાપ્રધાન ઈચ્છે છે. કોન્ટ્રાક્ટ ઉપર વડાપ્રધાન ઈચ્છુક નથી. મમતાએ કહ્યું હતું કે, તેઓ કેન્દ્રીય દળોનું અપમાન કરી રહ્યા નથી. પરંતુ મતદારોને પ્રભાવિત કરવા માટેના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, મતદારોને પ્રભાવિત કરવા માટે ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે. પશ્વિમ બંગાળમાં કેન્દ્રીય દળોની નિમણૂંક કરવાના નામ ઉપર ભાજપ દ્વારા બળજબરીથી સંઘ અને ભાજપના કાર્યકરોને મોકલવામાં આવી રહ્યા છે. મમતાએ કહ્યું હતું કે, તેમણે શંકા છે કે, સંઘના કાર્યકરોને કેન્દ્રીય દળોની વર્ધી પહેરાવીને પશ્વિમ બંગાળમાં મોકલવામાં આવી રહ્યા છે. મમતાએ કહ્યું હતું કે, ઘાટલ ચૂંટણી ક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર ભારતી ઘોષની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય દળોના અધિકારીઓના ગોળીબારમાં તૃણમૂલના એક કાર્યકરને ઈજા થઈ છે. મમતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય દળોએ એક કેન્દ્રમાં જઈને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં લઘુમતી સમુદાયના એક મતદારને ઈજા થઈ છે. મમતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય દળોએ લાઈન ઉભેલા મતદારોને ભગવા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા કહ્યું હતુંં.

મમતાએ કહ્યું હતું કે, કેન્દ્રીય દળો આ પ્રકારની રજુઆત કરી શકે નહી. મતદારોને ભાજપ માાટે મત આપવા માટે કેન્દ્રીય દળોનું કામ નથી. મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા કેન્દ્રીય દળો કહી શકે નહીં. કેટલાક સેવા નિવૃત અધિકારીઓને મોદી સરકાર તરફથી અહી મતદાન કરવા માટે પ્રયોગમાં લાવવામાં આવ્યા છે. પશ્વિમ બંગાળમાં લોકસભાની આઠ સીટ પર છઠ્ઠા તબક્કામાં મતદાન દરમિયાન કેન્દ્રીય દળોની ૭૭૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા મોટી સંખ્યામાં જવાનો ગોઠવવામાં આવ્યા છે. ગંઠબંધન પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી રહી ચુકેલી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, દેશના લોકો કોન્ટ્રાક્ટ ઉપર વડાપ્રધાન ઈચ્છતા નથી.

(7:48 pm IST)