Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ખેડૂતોની મોટાભાગની માંગણીઓ અંતે સ્વીકારાઈ : હડતાળનો અંત

દેવેન્દ્ર ફડનવીસની ખેડૂત પ્રતિનિધિઓ સાથે ત્રણ કલાક લાંબી ચર્ચા :ઐતિહાસિક આઝાદ મેદાન પર ૩૦૦૦૦થી પણ વધારે ખેડૂતો પહોંચી ગયા બાદ બપોરે ખેડૂતો સાથે બેઠક : લેખિતમાં ખાતરી અપાતા ખેડૂતો સંતુષ્ટ થયા

મુંબઇ,તા. ૧૨ : મહારાષ્ટ્રમાં ખેડૂતોના આંદોલનનો આજે આખરે અંત આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલી અંધાધૂંધીનો પણ અંત આવી ગયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ખેડૂતોને ખાતરી આપી હતી કે, સરકારે તેમની મોટાભાગની માંગણીઓને સ્વીકારી લીધી છે. ખેડૂતોની મુખ્ય માંગણીમાં લોન માફીની માંગણી પણ સામેલ હતી. ખેડૂતોએ કહ્યું છે કે, સરકારને તેમની માંગણીને પહોંચી વળવા માટે થોડોક સમય આપવામાં આવ્યો છે. મોટાભાગની માંગણી સ્વીકારવામાં આવી હોવાની વાત મુખ્યમંત્રીએ પણ સ્વીકારી છે. લેખિતમાં ખાતરી પણ આપવામાં આવી છે. ખેડૂતોના મુદ્દે આજે જોરદાર દેખાવો થયા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો મુંબઈ પહોંચ્યા હતા. ખેડૂતોના મુદ્દા ઉપર સરકારે તરત જ ધ્યાન આપ્યું છે. મહારાષ્ટ્ર સરકાર દેવામાફી અને સ્વામીનાથન પંચની ભલામણોને લાગૂ કરવાની માંગણી કરી રહેલા ખેડૂતોને મનાવી લેવામાં આખરે સફળ રહી છે. જુદી જુદી માંગોને લઇને લેખિત ખાતરી આપવાની રજૂઆત સરકાર તરફથી કરવામાં આવી હતી. ફડનવીસે પહેલાથી જ રચનાત્મક વલણ અપનાવવાની વાત કરી હતી. મુખ્યમંત્રીની સાથે બપોરે વિધાનસભામાં ખેડૂતોના પ્રતિનિધિમંડળે વાતચીત કરી હતી. આ વાતચીત આશરે ત્રણ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સરકારે લેખિત ખાતરી પણ આપી હતી. ખેડૂતો નિર્ણયથી સંતુષ્ટ હોવાની વાત સિંચાઈમંત્રી ગીરીશ મહાજને મોડેથી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, મોટાભાગની માંગણી સ્વીકારી લેવામાં આવી છે. મિટિંગ પહેલા ફડનવીસે કહ્યું હતું કે, પહેલા જ દિવસે જ વાતચીત કરવામાં આવી ચુકી છે. ખેડૂત નેતા અજીત નવલેએ અગાઉ કહ્યું હતું કે, સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવનાર છે. આજે સવારે ૩૦ હજારથી પણ વધુ સંખ્યામાં ખેડુતો તેમના ખેતરોને છોડીને મુંબઇમાં પહોંચ્યા છે. સવારે તમામ ખેડુતો ઐતિહાસિક આઝાદ મેદાન ખાતે એકત્રિત થયા હતા. જો કે પરીક્ષાને ધ્યાનમાં લઇને દેખાવો ૧૧ વાગ્યે પછી શરૃ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ લોન માફી સહિતની જુદી જુદી માંગણીઓને લઇને ૩૦૦૦૦થી પણ વધુ ખેડૂતો મુંબઈ પહોંચ્યા હતા. આ ખેડૂતો વિધાનભવનો ઘેરાવ કરવા માટેની તૈયારીમાં દેખાયા હતા. લોન માફી સહિતની જુદી જુદી માંગણીઓને લઇને ખેડૂતો આક્રમક દેખાઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર ઉપર દબાણ વધારવાના મૂડમાં દેખાઈ રહ્યા હતા. તેમની જે માંગણીઓ રહેલી છે તેમાં સંપૂર્ણ લોન માફી, કૃષિ પેદાશો માટે વાજબી ભાવ અને સ્વામીનાથન કમિશનની ભલામણોને અમલી બનાવવાની બાબતનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારની માંગણી કરીને સરકાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા કિસાન સભાના દેખાવને લઇને દેવેન્દ્ર ફડનવીસ સરકાર ઉપર દબાણ વધી ગયું હતું. ૩૦૦૦૦થી પણ વધુ ખેડૂતો નાસિક અને અન્ય વિસ્તારોમાંથી પહોંચ્યા હતા. ધોરણ ૧૨, ધોરણ ૧૦, સીબીએસઈ ધોરણ ૧૦, ધોરણ ૧૨, આઈસીએસસી અને આઈએસસીની પરીક્ષા ચાલી રહી છે ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો મુંબઈ પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં અંધાધૂંધીને રોકવા માટે પગલા લેવાયા હતા. મહારાષ્ટ્ર સરકાર માંગને લઇને ગંભીર છે. સરકાર ખેડુતોની માંગને લઇને શુ કરે છે તેના પર નજર છે. વહીવટીતંત્રએ ખેડૂતોની સમસ્યા તરફ પુરતુ ધ્યાન આપ્યું હતું. ઐતિહાસિક મેદાન ખાતે મોરચાનું આયોજન પણ ખેડૂતોએ કર્યું હતું.

(7:54 pm IST)