News of Friday, 12th February 2021
ચમોલી, તા. ૧૧ : ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી આફત બાદ ૩૪ લોકો ૧.૬ કિલોમીટર લાંબી ટનલમાં રવિવારે સવારે ફસાઈ ગયા હતા. આ ઘટનાને ૪ દિવસ થઈ ગયા છે પરંતુ તેમના સુધી પહોંચી શકાયું નથી. ૨૫ ફૂટ પહોળી અને એટલી જ ઊંચી ટનલમાં ભરાયેલો કાટમાળ દૂર કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલી ટીમોની કોશિશ છે કે જલદીમાં જલદી તેમાં ફસાયેલો કાટમાળ દૂર કરી શકાય. ભલે સમય પસાર થતા અંદર શું સ્થિતિ હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે પરંતુ કોઈ ચમત્કાર થવાની આશા છે.શશાંક રિડમ્શન ફિલ્મમાં એન્ડી ડૂફ્રેન્સનું પાત્ર જણાવે છે, આશા એક સારી બાબત છે, આશા સૌથી સારી બાબતોમાંથી એક છે.. અને કોઈ સારી બાબત ક્યારેય મરતી નથી. આ આશા એટલા માટે પણ છે કે ભૂતકાળમાં દુનિયામાં ઘણી સુરંગોની અંદર ફસાયેલા લોકોને કાઢવા માટે કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા મળતી જોવા મળી છે.
એક સમયે અંદર ફસાયેલા લોકો જીવતા બહાર કાઢવા મુશ્કેલ લાગતા હતા પરંતુ જ્યારે તેમના સુધી પહોંચ્યા તો બધું સહીસલામત હતું. ચમોલીની સુરંગમાં પણ આવો ચમત્કાર થવાની આશા છે, જેવી વર્ષ ૨૦૧૦માં ચીમાં અને ૨૦૧૬માં ચીનમાં જોવા મળી હતી. વધારે સમય પસાર નથી થયો. આજથી લગભગ ૧૦ વર્ષ પહેલાની વાત છે. ૫ ઓગસ્ટ ૨૦૧૦એ ચિલીમાં કોપર-સોનાની ખાણનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ૩૩ લોકો જમીનથી લગભગ ૭૦૦ મીટર નીચે ફસાયેલા હતા. તેઓ જ્યાં ફસાયા હતા તે જગ્યા ખાણના મુખ્ય ભાગથી લગભગ ૫ કિલોમીટર દૂર હતી. શરુઆતમાં ખાણના માલિકે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું પછી સરકારી કંપનીઓએ ઓપરેશન શરુ કર્યું. ઓપરેશન દરમિયાન બોરહોલ્સ કરવામાં આવ્યા. ૧૭ દિવસ પછી એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે, શેલ્ટરમાં અમે તમામ ૩૩ લોકો સલામત છીએ.
આ ઈમર્જન્સી શેલ્ટર ૫૦ વર્ગમીટર એરિયામાં ફેલાયેલો હતો. તેમાં બે લાંબી બેંચ પડી હતી પરંતુ વેન્ટિલેશનની તકલીફ હતી. માટે એ લોકો સુરંગ તરફ ચાલ્યા ગયા. પરંતુ ચિઠ્ઠી મળ્યા પછી બમણા ઉત્સાહ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરાયું પરંતુ અડચણો ઘણી હતી. ડ્રિલિંગ માટે ત્રણ ટીમો હતી, ચિલીની આખી સરકાર એક જ કામ સાથે જોડાયેલી હતી. નાસાથી લઈને દુનિયાની ઘણી એજન્સીઓએ સહયોગ કર્યો હતો. આખા રેસ્ક્યુ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, આખી દુનિયાની તેના પર નજર હતી. ૧૩ ડિસેમ્બરે ડ્રિલિંગની તેમના સુધી પહોંચી ગઈ. એક ખાસ પ્રકારની કેપ્સ્યુલમાં તેમને એક-એક કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
૨૫ ડિસેમ્બર ૨૦૧૬એ ચીનમાં જિપ્સમની એક ખાણ ધસી પડી હતી. જેમાં ૨૯ કર્મચારીઓ અલગ-અલગ જગ્યાઓ પર ફસાઈ ગયા હતા. આગામી દિવસે ૧૧ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિને મૃત જાહેર કરાઈ હતી. બાકી લોકો વિશે ૩૦ ડિસેમ્બરે પહેલી વખત ખબર પડી કે તેઓ જીવતા છે. આ પછી એક-એક કરીને બોરહોલ દ્વારા ખાવાનું, કપડા અને અનાજ પહોંચાડવામાં આવ્યું.
રેસ્ક્યુ દરમિયાન વારંવાર ખાણ ધસી પડવાના કારણે અડચણો આવી રહી હતી. ૩૬ દિવસ બાદ ૪ લોકોને એક રેસ્ક્યુ કેપ્સ્યુલ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકી લોકો વિશે કોઈ માહિતી ના મળી.
ઉત્તરાખંડમાં પણ ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ સાધનો અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે, હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.