Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ખેડૂત આંદોલન સ્થળ ટિકરી બોર્ડર ચળવળ સ્થળ ઉપરથી પરત ફરી રહેલા ખેડૂતોને અકસ્માત નડ્યોઃ ટ્રેક ટ્રોલીને ટક્કર મારતા મુક્તસર જીલ્લાના ૨ ખેડૂતના મોત

અકસ્માતમાં ઇજાગ્રસ્ત ૭ ખેડૂતોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા બાદ ખેડૂતો દ્વારા આંદોલન સ્થળ ખાલી કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.

શનિવારે સવારે ટિકરી બોર્ડર ચળવળ સ્થળ પરથી પરત ફરતી વખતે, નેશનલ હાઈવે 9 પર પંજાબમાં રહેતા કેટલાક ખેડૂતોના વાહનને હિસારમાં અકસ્માત નડ્યો હતો.

અસલમાં કેટલાક ખેડૂતો આંદોલન સ્થળથી ટ્રેક્ટર પર પંજાબ પરત ફરી રહ્યા હતા. ધંદુર ગામ નજીક નેશનલ હાઈવે-9 પર પાછળથી આવતી ટ્રકે ટ્રોલીને ટક્કર મારી હતી. જે બાદ સુખદેવ સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ અજય પ્રીતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બંને મૃતક ખેડૂતો મુક્તસર જિલ્લાના હોવાનું કહેવાય છે.

જણાવી દઈએ કે આ અકસ્માતમાં 7 ખેડૂતો ઘાયલ પણ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ખેડૂતોની હિસારની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(4:20 pm IST)