Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગોરખપુરના એક મકાન પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા ૪ પર દેશદ્રોહ કેસ

ગોરખપુર,તા. ૧૧: ઉત્ત્।ર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીના ચૌરી ચૌરાના મુંદેરા બજારમાં વોર્ડ નંબર-૧૦માં સ્થિત ઘરની છત પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાવવાનો ફોટો વાયરલ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યાં કોઈ ધ્વજ મળ્યો ન હતો. જોકે લોકોની ભારે ભીડ હતી. ઘટનાસ્થળે એકઠી થયેલી ભીડને હટાવવાની સાથે પોલીસે એક યુવકને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે.  પોલીસે બ્રાહ્મણ જન કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કલ્યાણ પાંડેની ફરિયાદ પર ચાર લોકો વિરુદ્ઘ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. સાવચેતીના ભાગરૂપે ત્યાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ચૌરી ચૌરા વિસ્તારના મુંદેરા બજાર નગરના વોર્ડ નંબર-૧૦માં તાલિબ નામના વ્યકિતના ઘર પર પાકિસ્તાની ધ્વજ લગાવવાનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. વાયરલ ફોટાની નોંધ લેતા, ઇન્સ્પેકટર ચૌરી ચૌરા ઘટનાસ્થળે પહોંચ્યા, જયારે જે ઘરમાં ધ્વજ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, ત્યાં કોઈ ધ્વજ મળ્યો ન હતો અને ઘર અંદરથી બંધ હતું. પોલીસની કડકાઈ પર લગભગ એક કલાક પછી દરવાજો ખુલ્યો અને પોલીસે ઘરના એક યુવકને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ગઈ. દરમિયાન ત્યાં હાજર ટોળાએ ધ્વજ લગાવનાર યુવક પપ્પુ કુરેશીની દરવાજા પાસે પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી. તકેદારીના ભાગરૂપે ઘટનાસ્થળે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

વિશ્વ હિંદુ પરિષદના નેતા અમિત વર્મા, આરએસએસના વીરેન્દ્ર સહિત તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સત્વરે ત્યાં પહોંચી ગયા હતા. બ્રાહ્મણ જન કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કલ્યાણ પાંડેની ફરિયાદ પર ચાર લોકો વિરુદ્ઘ નામદાર દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. એસપી નોર્થ મનોજ કુમાર અવસ્થી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઈન્સ્પેકટર ચૌરી ચૌરા શ્યામ બહાદુર સિંહે જણાવ્યું કે જે ઘરમાં ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો ત્યાં ભારે ભીડ હતી. ત્યાંથી એક યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચાર લોકો સામે  કેસ નોંધવામાં આવ્યો છે.

(10:04 am IST)