Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

છેલ્લા બે વર્ષથી કેન્સર સામે લડી રહેલા મુંબઇના જોઇન્‍ટ પોલીસ કમિશ્નર હિમાંશુ રોયનો પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત

મુંબઇઃ મુંબઇના જાણીતા પોલીસ અધિકારી હિમાંશુ રોયે પોતાની બંદૂકમાંથી ગોળી ખાઇ લઇને પોતાના ઘરમાં જ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.

જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ હિમાંશુ રોયના આપઘાતથી સમગ્ર મુંબઈ પોલીસ હચમચી ઉઠી છે. હિમાંશુ રોય મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા પણ હતા. તેઓ અનેક હાઈપ્રોફાઈલ કેસ પણ સંભાળી ચૂક્યા છે.

એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, છેલ્લા બે વર્ષથી કેન્સર સામે લડી રહેલા હિમાંશુ રોય ડિપ્રેશનના શિકાર બન્યા હતા. તેમની કિમોથેરાપી ચાલી રહી હતી, અને તેઓ સારવાર માટે અવારનવાર વિદેશ પણ જતા હતા. હિમાંશુ રોય ખાસ્સા સમયથી રજા પર પણ હતા. તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાંચના પણ વડા રહી ચૂક્યા છે.

1988 બેંચના આઈપીએસ ઓફિસર રિમાંશુ રોયે 2013માં આઈપીએલ સટ્ટાકાંડ ઉજાગર કર્યો હતો, અને તેમણે જ દારાસિંહના દીકરા વિંદુ દારા સિંહ તેમજ ચેન્નૈ સુપરકિંગ્સના શ્રીનિવાસનના જમાઈ મયપ્પનની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના ભાઈના ડ્રાઈવર આરીફ બાએલ પર થયેલા ફાયરિંગ કેસને પણ તેમણે ઉકેલ્યો હતો. થોડા દિવસ પહેલા જ જેનો ચુકાદો આવ્યો છે તેવા જે.ડે મર્ડર કેસને પણ તેમણે જ ઉકેલ્યો હતો.

હિમાંશુ રોય ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવનારા અધિકારી હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમને હાડકાનું કેન્સર હતું, અને છેલ્લા બે વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. તેઓ ઘણા સમયથી રજા પર હતા. રોયનો બોલિવુડ, પોલિટિક્સ, મીડિયા તેમજ બિલ્ડરો સાથે પણ સારો એવો ઘરોબો હતો. તેઓ ફિટનેસ કોન્શિયસ હતા, અને પોલીસ ફોર્સમાં ફિટનેસ આઈકન ગણાતા.

(5:39 pm IST)