Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઉન્નાવ ગેંગરેપ : સેંગર સામે આક્ષેપોને અંતે સમર્થન મળ્યું

ભાજપના ધારાસભ્યની તકલીફમાં વધારો થયો : સેંગરના સાથી શશીસિંહે લાલચ આપી પીડિતાને સેંગરના આવાસે લઇ ગયો હતો : તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

નવીદિલ્હી,તા. ૧૧ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સીબીઆઈએ એવા અહેવાલને સમર્થન આપ્યુ ંછે કે, સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ રેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સામે બળાત્કારના કેસોને સમર્થન મળ્યું છે. સેંગર સામે રેપના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આરોપોને સમર્થન આપતા તપાસ સંસ્થાએ કહ્યું છે કે, સેંગરના સાથી શશીસિંહે ભોગ બનેલીને લાલચ આપી હતી. આ સગીરાને ગયા વર્ષે નોકરી આપવાના બહાને સેંગરના નિવાસસ્થાન ઉપર લઇ જવામાં આવી હતી. બનાવ બન્યો ત્યારે ભાગ બનેલી સગીરા હતી. ચોથી જૂન ૨૦૧૭ના દિવસે ભોગ બનનાર શશીસિંહની સાથે ઉત્તરપ્રદેશના માઠી ગામના તેમના આવાસ ઉપર સેંગરને મળવા પહોંચી હતી. જ્યાં આ બનાવ બન્યો હતો. સિંહની ત્યારબાદ અટકાયત કરી લેવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ સેંગર અને તેમના સાથીઓએ ગેંગરેપમાં ભૂમિકા ભજવી હતી. ૧૧મી જૂનના દિવસે ભોગ બનેલીનું ફરી ત્રણ યુવાનો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યુ ંહતું તેના ઉપર વારંવાર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આજથી નવ દિવસ સુધી ભોગ બનનારને એસયુવીમાં રાખવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યના પ્રભુત્વ હેઠળ ભોગ બનેલીના મેડિકલ તપાસના રિપોર્ટ જારી કરવામાં વિલંબ કરનાર સ્થાનિક પોલીસની ભૂમિકામાં તપાસ કરવામાં આવી રહી છે. એપ્રિલ મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય સામે પગલા ન લેવા બદલ ઉત્તરપ્રદેશ પોલીસની ઝાટકણી કાઢવામાં આવી હતી. લોકોમાં ભારે ધાંધલ ધમાલ થયા બાદ અને આ મામલાએ હોબાળો મચાવ્યા બાદ સેંગરની મુશ્કેલી વધી હતી. ભોગ બનનાર અને તેના પરિવારના સભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આવાસની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ આ સમગ્ર બાબત સપાટી ઉપર આવી હતી. એક દિવસ બાદ ભોગ બનનારના પિતાનું મોત થઇ ગયું

હતું. ભોગ બનનારના પિતાને પોલીસે પકડીને કસ્ટડીમાં રાખ્યો હતો. બીજી બાજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આંતરિક ઇજા હોવાના સમાચાર પણ આવ્યા હતા. ૧૭ કલાક સુધી પુછપરછ કરવામાં આવ્યા બાદ અને કોઇપણ માહિતી ન મળ્યા પછી તથા કોર્ટતી ટિકા ટિપ્પણીનો સામનો કર્યા બાદ ૧૩મી એપ્રિલના દિવસે સેંગરની ધરપકડ કરી લેવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી અને વાય સિક્યુરિટી દૂર કરવામાં આવી હતી. પોતાની ફરિયાદમાં ભોગ બનનારે કેટલાકના નામ આપ્યા હતા. ઉત્તરપ્રદેશ પોલીસના ઉદાસીન વલણ સામે લોકોમાં હોબાળો થયા બાદ આ કેસ ૧૨મી એપ્રિલના દિવસે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને ૧૩મી એપ્રિલે સેંગરની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પ્રથમ એફઆઈઆરમાં ભોગ બનનારના બળાત્કારની બાબતનો ઉલ્લેખ હતો જેમાં સેંગર અને શશી આરોપી તરીકે દર્શાવાયા હતા. બીજી એફઆઈઆરમાં ચાર સ્થાનિક લોકો સામે કેસ કરાયો હતો. ઉપરાંત જ્યુડિશિયલ કસ્ટડીમાં ભોગ બનનારના પિતાના મોતનો ઉલ્લેખ કરાયોહતો. ત્રીજી એફઆઈઆરમાં ભોગ બનનારના પિતા સામે આક્ષેપોનો ઉલ્લેખ કરાયો હતો.

(7:54 pm IST)