Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અલ્જિરિયાના લશ્કરનું વિમાન તૂટી પડતા ૨૫૭ના મોત થયા

તાજેતરના સમયની સૌથી મોટી વિમાન દુર્ઘટનાઃ બાફેરીક લશ્કરી વિમાની મથક ઉપર દુર્ઘટના : પરિવહન વિમાનમાં ૩૦૦ લોકો હતા : ઈજાગ્રસ્તો પૈકી ઘણા ગંભીર

અલ્જીયર્સ,તા. ૧૧: આફ્રિકી દેશ અલ્જિરીયામાં સેનાનું એક પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા ૨૫૭થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ વિમાનમાં મોટાભાગે લશ્કરી જવાનો મુસાફરી કરી રહ્યા હતા. મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ૨૫૭ના મોત થઈ ગયા છે. આજે સવારે આ વિમાન બાફેરીક લશ્કરી એરપોર્ટ ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બચાવ અને રાહત કામગીરી તરત જ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ૧૪થી વધારે એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અલ્જિરીયાના રેડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન તૂટી પડવાના કારણોમાં તપાસ ચાલી રહી છે. અલ અરબીયાના કહેવા મુજબ ઘટના સ્થળ દેશના પાટનગર અલ્જિયર્સથી ૩૦ કિલોમીટરના અંતરે છે. આ પરિવહન વિમાન તૂટી પડવાની ઘટનામાં કોઈનો બચાવ થયો નથી. રશિયન બનાવટનું ૨-૭૬ વિમાન દક્ષિણ પશ્ચિમ એલ્જિરીયા માટે રવાના થયું હતું. ટ્વીટર ઉપર વીડિયો પણ રજુ કરવામાં આવ્યા છે. જેમાં વિમાનમાંથી ધુમાડા જોઈ શકાય છે. અખાત સમાચાર સંસ્થાએ વિગત આપતા કહ્યું છે કે વિમાનમાં સૈનિકોની સાથે સાથે અન્ય લશ્કરી સાધનો પણ હતા. વિમાન સ્થાનિક સમય મુજબ સવારે ૮.૦૦ વાગે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ વિમાની મથક તરફ જતા તમામ રસ્તાઓને બંધ કરી દેવાયા હતા. ઈમરજન્સી સેવાઓમાં તકલીફ ન પડે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અલ્જિરીયાના લશ્કરી સૂત્રોએ કહ્યું છે કે બચાવ અને રાહત કામગીરીમાં કોઈ તકલીફ ન પડે તે માટે પણ સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે. માર્યા ગયેલાઓમાં અલ્જિરિયાનો ટેકો ધરાવતા અને હાલમાં સંઘર્ષ કરી રહેલા લડવૈયાઓના ૨૬ જવાનો પણ સામેલ છે. આ વિમાન અલ્જિરીયાની સરહદ પર આવેલા વિસ્તાર તરફ જઈ રહ્યું હતું. પશ્ચિમી સહારા વિસ્તારમાંથી શરણાર્થીઓના વિસ્તારમાં આ વિમાન જઈ રહ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૪માં અલ્જિરિયન એરફોર્સનું વિમાન તૂટી પડ્યું હતું. જેમાં ૭૭ લોકોના મોત થયા હતા. હાલના સમયની સૌથી મોટી ઘટના તરીકે આને જોવામાં આવે છે.

(10:08 pm IST)