Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

મની લોન્ડરિંગ : નિરવ સામે નવી ચાર્જશીટ દાખલ કરાઈ

ફરાર હિરા કારોબારી નિરવ મોદી પર સકંજો : નવા પુરાવાઓ સપાટી ઉપર આવ્યા બાદ ઇડી દ્વારા નવી ચાર્જશીટ દાખલ કરાઈ : નિરવ મોદી હાલમાં બ્રિટનમાં

મુંબઈ, તા. ૧૦ : પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આજે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની એક અદાલતમાં ફરાર હિરા કારોબારી નિરવ મોદી અને કેટલાક અન્ય લોકોની સામે નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ મામલામાં નવા પુરાવા સપાટી ઉપર આવ્યા બાદ ઇડી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. ૧૩૦૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી હાલમાં લંડનમાં છે. મિડિયા રિપોર્ટના કહેવા મુજબ મોદી લંડનના પોશ વિસ્તારમાં ખુબ મોંઘા એપાર્ટમેન્ટમાં રહે છે. નિરવ મોદી બ્રિટનના હિરા કારોબાર પણ શરૂ કરી ચુક્યો છે. ભારતીય તપાસ સંસ્થાઓએ નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે ગયા વર્ષથી જ બ્રિટનમાં ખાસ અરજી દાખલ કરી હતી. પ્રત્યાર્પણની અરજી મળી હોવાની કબૂલાત બ્રિટન સરકાર પણ કરી ચુકી છે. ત્યાંની સરકારે શનિવારના દિવસે એમ પણ કહ્યું હતું કે, ભારતીય તપાસ સંસ્થાઓની માંગને કોર્ટને સોંપી દેવામાં આવી છે. શનિવારના દિવસે જ બ્રિટનના એક અખબારે નિરવ મોદી લંડનમાં હોવાના અહેવાલ જારી કર્યા હતા. ત્યારબાદથી તેના પર સકંજો મજબૂત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે હાલમાં જ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં રવિશ કુમારે કહ્યું હતું કે બેન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ફરાર થયેલા વિજય માલ્યાને ભારત લાવવા માટે જે સ્તરના પ્રયાસ થઈ રહ્યા છે તે સ્તરના પ્રયાસ નિરવ મોદીના પ્રત્યાર્પણને લઈને પણ કરવામાં આવી રહ્યા છે. નિરવ મોદી અને વિજય માલ્યા ઉપર સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે ૧૩ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર અને ત્યારબાદ  દેશમાંથી ફરાર થઇ ગયેલા નીરવ મોદી ક્યા છે તેને લઇને તપાસ ચાલી રહી છે ત્યારે નીરવ લંડનમાં હોવાના હેવાલ મળ્યા છે.  લંડનમાં એક સ્થાનિક અખબારના પત્રકારે શોધી કાઢ્યા બાદ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. પત્રકાર દ્વારા નીરવ મોદીને કેટલાક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે છે કે ભારતીય અધિકારીઓની અપીલ પર નીરવ મોદીની ધરપકડ માટે ગયા વર્ષે જુલાઇ મહિનામાં ઇન્ટરપોલે તેમની સામે રેડ કોર્નર નોટીસ જારી કરી હતી.

જો કે હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી. તમામ લોકો જાણે છે કે નીરવ મોદી તથા તેમના સંબંધી મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથે ૧૪ કરોડની ઠગાઇ કરી ચુક્યા છે. કોંભાડનો પર્દાફાશ કરવામાં આવે તે પહેલાનીરવ વિદેશ ફરાર થઇ ગયા હતા.

નિરવ મોદી મુશ્કેલીમાં

*   પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની મુશ્કેલી વધી

*   મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની અદાલતમાં હિરા કારોબારી નિરવ મોદી અને અન્યો સામે નવી ચાર્જશીટ

*   નવા પુરાવા સપાટી ઉપર આવ્યા બાદ ઇડી દ્વારા ચાર્જશીટ દાખલ કરાઈ

*   ૧૩૦૦૦ હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી હાલમાં લંડનમાં છે

*   બ્રિટનના એક અખબારના પત્રકારે નિરવ મોદીને પકડી પાડ્યા બાદ ભારતમાં રાજકીય ગરમી વધી

*   પ્રત્યાર્પણને લઇને પણ ગતિવિધિ શરૂ કરાઈ

(7:20 pm IST)