Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઇડીનો ધડાકો

સેમસંગ કમિશનની રકમથી વાડ્રાનું લંડનનું મકાન ખરીદાયું

દહેજ સેઝ માટે કોન્ટ્રાકટમાં કમિશન ૧પ કરોડ રૂપીયા મળ્યા'તા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેકટરે રોબર્ટ વાડ્રાની લંડનમાં આવેલી બેનામી સંપતિ ખરીદવા માટે મેળવાયેલ રૂપીયાની તહ સુધી પહોંચવાનો દાવો કર્યો છે. વાડ્રાની ત્રણ દિવસ સુધી પુછપરછ કરનાર ઇડીના એક ઉચ્ચ અધિકારી અનુસાર લંડન સ્થિત મકાન (૧ર બ્રાયન્સ્ટન સ્કવેર) કોરીયન કંપની સેમસંગ એન્જીનીયરીંગ તરફથી આપવામાં આવેલ કમિશનથી ખરીદાયું હતું.આ કમિશન ગુજરાતના દહેજમાં બનનાર ઓએનજીસીના સેઝ સાથે જોડાયેલ નિર્માણના કોન્ટ્રેકટ અપાવવાના બદલામાં ચુકવાયું હતું. ઇડી હવે આ કોન્ટ્રાકટની તપાસ કરી રહયું છે.

ઇડીના એક ઉચ્ચ અધિકારીએ કહયું કે સેમસંગ એન્જીનીયરીંગને ડીસેમ્બર ર૦૦૮માં દહેજમાં બનનાર એક સેઝનો કોન્ટ્રાકટ મળ્યો હતો. આના છ મહીના પછી ૧૩ જુન ૨૦૦૯ ના રોજ સેમસંગે સંજય ભંડારીની કંપની સેનટેકને ૪૯.૯ લાખ ડોલર (તે વખતના વિનિમય દર પ્રમાણે લગભગ ર૩.પ૦ કરોડ રૂપીયા) આપ્યા હતા. સંજય ભંડારીએ પછીથી તેમાંથી ૧૯ લાખ પાઉંડ (તે વખતના વિનીમય દર પ્રમાણે લગભગ ૧૫ કરોડ રૂપીયા) વોર્ટેક્ષ નામની કંપનીમાં ટ્રાન્સફર કર્યા.

ઇડીનો દાવો છે કે આ પૈસાનો ઉપયોગ ૧ર, બ્રાયન્સ્ટન સ્કેવરની સંપતી ખરીદવા માટે કરાયો હતો. ર૦૧૦માં ભંડારીના સગા સુમીત ચઢ્ઢાએ આ મકાનની મરામત માટે વાડ્રાને ઇમેલ મોકલીને પરવાનગી માંગી હતી. એટલું જ નહી, પછી એક ઇમેલમાં સુમીત ચઢ્ઢાએ મરામતના પૈસાની વ્યવસ્થા કરવા પણ કહયું હતું. જેના જવાબમાં વાડ્રાએ મનોજ વાડ્રાને આની વ્યવસ્થા માટે કહયું છે તેવું આશ્વાસન આપ્યું હતું. ઘરની મરામત માટે લગભગ ૪પ લાખ રૂપીયા વપરાયા હતા.

ઇડીના ઉચ્ચ અધિકારીએ કહયું કે સેમસંગ એન્જીનીયરીંગને મળેલ કોન્ટ્રાકટ અને સંજય ભંડારીને અપાયેલ નાણાની નવેસરથી તપાસ કરવામાં આવશે અને આના માટે સંબંધીત અધિકારીઓને ટુંક સમયમાં પુછપરછ માટે બોલાવાશે. તેમણે કહયું હતું કે રોબર્ટ વાડ્રાના લંડનમાં આવેલ આ મકાન ખરીદવા માટે એકઠા કરાયેલા નાણાની લેવડ દેવડની આખી સાંકળની ખબર પડી ગઇ છે. હવે તેને કોર્ટમાં સાબીત થઇ શકે તેવી સાબીતીઓ એકઠી કરવાની જરૂર છે. આ બાબતે ઘણી સાબીતીઓ પહેલા જ એકઠી કરાઇ છે.

જો કે ઇડીના સવાલોનો સામનો કર્યા પછી રોબર્ટ વાડ્રાએ ફિલસુફની જેમ વાત કરતા ફેસબુકમાં લખ્યું 'બધા મિત્રો અને પરીચીતોનો હું આભાર માનવા માંગુ છું, જે આ મુશ્કેલીના સમયે મને સાથ આપ્યો. હું સંપુર્ણપણે સ્વસ્થ છું અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છું. સત્યનો હંમેશા વિજય થાય છે.'

(3:36 pm IST)