Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પ્રવાસીએ એન્ટિલિયા જોવા માટે સરનામું પુછ્યું હતું

એન્ટિલિયાનું સરનામું પુછવાનો કેસમાં તપાસ : ગુજરાતના કચ્છ ખાતેથી ૩ લોકો મુંબઈ ફરવા ગયા હતા, તેમણે એન્ટીલિયા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

નવી દિલ્હી, તા.૧૦ : મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની સુરક્ષામાં સોમવારે વધારો કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને એક ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે, ૨ લોકો એન્ટીલિયાના લોકેશન અંગે પુછી રહ્યા છે. કિલા કોર્ટ પાસે દાઢીવાળા વ્યક્તિએ એન્ટીલિયાનું લોકેશન પુછ્યું હતું અને બંને પાસે એક બેગ પણ હતી. આ અંગેની સૂચના મળ્યા બાદ પોલીસે તે વિસ્તારના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી.  જાણવા મળ્યા મુજબ ગુજરાતના કચ્છ ખાતેથી ૩ લોકો મુંબઈ ફરવા ગયા હતા. તેમણે ગેટવે ઓફ ઈન્ડિયા જેવા પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ એન્ટીલિયા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કારણે તેમની ટુરિસ્ટ કારના ડ્રાઈવરે અન્ય કેબ ડ્રાઈવરને એન્ટીલિયાનું સરનામુ પુછ્યું હતું. કેબ ડ્રાઈવરે પહેલા તો તેમને ઓનલાઈન શોધી લેવા કહ્યું હતું પરંતુ બાદમાં રસ્તો બતાવી દીધો હતો. ત્યાર બાદ સૌ પર્યટકો એન્ટીલિયા જોવા પહોંચ્યા હતા અને સોમવારે જ ગુજરાત માટે રવાના થઈ ગયા હતા. જોકે બાદમાં કેબ ડ્રાઈવરને શંકા થતા તેણે પોલીસ કંટ્રોલ રૂમને સૂચના આપી હતી. મુંબઈ પોલીસે સોમવારે રાતે શંકાસ્પદ ટુરિસ્ટ કારની માહિતી મેળવી તો એ સ્પષ્ટ થઈ ગયું કે, કોઈ જોખમ નહોતું. વાશી ખાતેથી કસ્ટડીમાં લેવામાં આવેલા ડ્રાઈવરનો કોઈ ગુનાહીત ઈતિહાસ નથી અને તેને છોડી દેવામાં આવ્યો હતો.

 

(7:46 pm IST)