Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સાગાપુરમાં ફાંસી થવાની હતી તે કેદીને કોરોના પોઝીટીવ આવતા ફાંસી ટળી

મામલો આંતરરાષ્‍ટ્રીય ચર્ચામાં આવ્‍યો

નવી દિલ્હીઃ સિંગાપુરથી એક મોટો આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યારે એક વ્યક્તિની ફાંસી થવાની હતી અને તે છેલ્લી ઘડીએ કોરોના પોઝિટિવ આવ્યો. ત્યારબાદ અધિકારીઓ વિચારમાં પડી ગયા કે શું કરવામાં આવે. આ બધુ ત્યારે થયું જ્યારે સિંગાપુરની એક સર્વોચ્ચ અદાલતે માદક પદાર્થોની તસ્કરીના ગુનામાં દોષી ઠેરવેલા એક ભારતીય મૂળના 33 વર્ષિય વ્યક્તિને મોતની સજા સંભળાવી હતી. ધર્મલિંગમ નામનો આ વ્યક્તિ ફાંસી પહેલા કોરોના પોઝિટિવ આવ્યો. આ ફાંસીનો એક ખુબ ચર્ચિત મામલો છે કારણ કે તેને 11 વર્ષ પહેલા આ સજા સંભળાવવામાં આવી હતી. 

હકીકતમાં ભારતીય મૂળના ધર્મલિંગમને માદક પદાર્થોની તસ્કરીના ગુનામાં બુધવારે ફાંસી પર લટકાવવાનો હતો. 'ન્યૂઝ એશિયા'ના એક રિપોર્ટ પ્રમાણે ધર્મલિંગમને તેના મૃત્યુદંડ વિરુદ્ધ છેલ્લી અપીલ પર સુનાવણી માટે અપીલીય કોર્ટમાં લાવવામાં આવ્યો, પરંતુ આ દરમિયાન ન્યાયાધીશે કોર્ટમાં કહ્યુ કે, ધર્મલિંગમ કોરોના સંક્રમિત થયો છે. ન્યાયમૂર્તિ એન્ડ્રૂ ફાંગ, ન્યાયમૂર્તિ જૂદિથ પ્રકાશ અને ન્યાયમૂર્તિ કન્નન રમેશની એક પીઠે કહ્યુ કે, આ તો અવિશ્વસનીય છે. 

ન્યાયાધીશે કહ્યું કે કોર્ટનું માનવું છે કે "વર્તમાન સંજોગોમાં" મૃત્યુદંડની અમલવારી સાથે આગળ વધવું યોગ્ય નથી. જજ ફેંગે કહ્યું કે જો આ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ ગયો હોય તો તેને ફાંસી આપી શકાય નહીં. આ સાથે તેમણે કેસની સુનાવણી મુલતવી રાખી હતી પરંતુ હજુ આગામી તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી અરજદારને ફાંસી આપવામાં આવશે નહીં.

રિપોર્ટમાં તે વાતનો પણ ઉલ્લેખ છે કે ધર્મલિંગમ ક્યારે કોરોના સંક્રમિત થયો, તેની જાણકારી આપવામાં આવી નથી. ધર્મલિંગમને 2009માં હેરોઇન સિંગાપુર લઈ જવાના ગુનામાં 2010માં મોતની સજા ફટકારવામાં આવી હતી. તે 2011માં ઉચ્ચ ન્યાયાલયમાં, 2019માં સર્વોચ્ચ ન્યાયાલય તથા 2019માં રાષ્ટ્રપતિ પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યો. ધર્મલિંગમને ફાંસી પર ચઢાવવાનો સમય નજીક આવવા પર આ મામલો આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો હતો. 

આ મામલામાં મલેશિયાના પ્રધાનમંત્રી ઈસ્માઈલ સાબરી યાકોબે તેમના સિંગાપોરના સમકક્ષ લી સિએન લૂંગને પત્ર લખ્યો હતો અને માનવાધિકાર સંગઠનો અને વર્જિન ગ્રૂપના સ્થાપક રિચર્ડ બ્રેન્સને પણ તેમને આ મામલે રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, ધર્મલિંગમને માફ કરવાની માંગ કરતી ઓનલાઈન અરજી પર 70000થી વધુ લોકોએ હસ્તાક્ષર પણ કર્યા છે.

લોકોની અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે તેણે દબાણમાં આ ગુનો કર્યો છે અને તેની માનસિક સ્થિતિ પણ સારી નથી. હાલમાં સિંગાપોરની સુપ્રીમ કોર્ટે ભારતીય મૂળના ધર્મલિંગમની ફાંસી પર રોક લગાવી દીધી છે. વિશ્વભરના માનવાધિકાર કાર્યકર્તાઓ આ ફાંસી પર સ્ટે મૂકવાની અપીલ કરી રહ્યા હતા. આ સ્ટે ધર્મલિંગમની અપીલની સુનાવણી સુધી ચાલુ રહેશે.

(9:30 am IST)