News of Sunday, 10th October 2021
શ્રીનગરમાં એક શીખ મહિલા આચાર્ય અને એક કાશ્મીરી હિન્દુ શિક્ષકની "ટાર્ગેટેડ કિલિંગ" બાદ સ્થિતિ ભયજનક બની છે. કાશ્મીર ખીણમાં લઘુમતીઓને ચિંતા અને ભયની લાગણીએ ઘેરી લીધેલ છે, કાશ્મીરી પંડિત અને શીખ સમુદાયના કેટલાક સરકારી કર્મચારીઓ અને શિક્ષકો જમ્મુ પરત ફર્યા છે, કેટલાક ટ્રાન્સફર માગે છે, અને ઘણા લોકો સલામતીની વધતી ચિંતાઓને કારણે કામ ઉપર જવાથી અળગા રહે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ શ્રીનગરમાં શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ જુનિયર સહાયક સુશીલ શુક્રવારે વહેલી સવારે જમ્મુ પરત ફર્યો. તેણે કહ્યું કે "હમ કાશ્મીર સે બાઇક પાર ભાગે હૈ (અમે બાઇક પર કાશ્મીરથી ભાગી ગયા છીએ)."
શ્રીનગરમાં એક શીખ મહિલા આચાર્ય અને એક કાશ્મીરી હિન્દુ શિક્ષકની "ટાર્ગેટ હત્યા" એ તેમને બધાને શંકાશીલ અને ભયભીત બનાવી દીધા છે. "કાશ્મીર મેં સડક પર ચલતે હુવે હમે એક હી ખયાલ આતા રહતા હૈ કી કોઈ હમારી તરફ દેખ રહા હૈ, વો હમે ગોલી માર દેગા," સુશીલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને એક મુલાકાતમાં કહ્યું હતું.
જમ્મુ પરત આવતા લોકો માટે સલામતી સર્વોપરી ચિંતા જણાય છે. સિદ્ધાર્થ રૈના (નામ બદલ્યું છે) માત્ર બે વર્ષનો હતો જ્યારે તેનો પરિવાર ૧૯૯૦ માં ધમકીઓ અને હત્યા બાદ એક લાખ ઉપરાંત પંડિતો સાથે કાશ્મીર છોડીને ભાગી ગયો હતો. અઢી દાયકા પછી, તે ૨૦૧૫ માં પ્રધાનમંત્રી પેકેજ હેઠળ જમ્મુ અને કાશ્મીરના શિક્ષણ વિભાગમાં નોકરી મેળવવા સાથે શ્રીનગર પાછો ફર્યો હતો.
આ સિદ્ધાર્થ શુક્રવારે તેની પત્ની સાથે અનંતનાગ થી જમ્મુ પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું કે આખી રાત અમે ભયમાં ધ્રુજતા રહેલ અને ઉંઘ્યા પણ ન હતા. સવાર પડતાં જ અમે જમ્મુ ભેગા થઈ ગયા. શાંતિ અને એખલાસની ખોખલી વાતો સાંભળવા મળે છે પરંતુ નક્કર સલામતીની કોઈ ખાતરી આપતું નથી.
સુશીલે કહ્યું કે તેના મુસ્લિમ સાથીઓ મદદરૂપ થયા છે, પરંતુ સરકારે એ વિચારવું રહ્યું કે શું લઘુમતી સમુદાયના કર્મચારીઓ આવા સંજોગોમાં સુરક્ષિતતા અનુભવી શકે છે? “લઘુમતી સમુદાયના શિક્ષકો ખીણના દૂરના પર્વતીય વિસ્તારોમાં તૈનાત છે. તેઓ જમ્મુ પરત ફરવા સિવાય આ સ્થિતિમાં બીજું શું કરી શકે?
જો કે જમ્મુ અને કાશ્મીર સરકારે વડાપ્રધાન પેકેજ યોજના હેઠળ ઘાટીમાં તૈનાત લઘુમતી સમુદાયના કર્મચારીઓના કોઈપણ 'રિવર્સ માઈગ્રેશન' થયાની વાત ફગાવી દીધી છે. જમ્મુ અને કાશ્મીરના રાહત અને પુનર્વસવાટ કમિશનર અશોક પંડિતાએ જણાવ્યું હતું કે, અમે કાશ્મીરના વિભાગીય કમિશનર સમક્ષ ખીણના તમામ નાયબ કમિશનરોને તેમના સંબંધિત જિલ્લાઓમાં સરકારી આવાસોમાં રહેતા કર્મચારીઓની સુરક્ષા વધારવા માટે દિશા નિર્દેશો આપ્યા છે.
પરંતુ જમીની પુરાવા સૂચવે છે કે ઘણા લોકો પાછા ફરી રહ્યા છે. સ્થળાંતરિત થઈને કાશ્મીરી પંડિતો જમ્મુના નગરોટા નજીકની વસાહત જગતી ટાઉનશીપમાં વસેલા છે ત્યાંના પ્રોવિઝન શોપના માલિક રમેશ કુમારે જણાવ્યું હતું કે પીએમ પેકેજ હેઠળ કાશ્મીરમાં તૈનાત ઘણા કર્મચારીઓ પરત ફર્યા છે. ૨-૩ મહિના પછી તેઓ મારે ત્યાં ખરીદી કરવા આવ્યા હતા. હું આજે ઓછામાં ઓછા ૩૦ લોકોને મળ્યો છું. તેઓએ કહ્યું કે તેઓ કાશ્મીર ખીણમાંથી નીકળી ગયા છે… કેટલાક લોકોએ કહ્યું કે તેઓ મધરાત્રે ૧૨ ની આસપાસ કાશ્મીર છોડી નીકળી ગયા હતા.
દુકાનના માલિક રમેશ કુમારે જણાવ્યું હતું કે તે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે પણ બે પરિવારો કાશ્મીર ખીણમાંથી અલગ વાહનોમાં આવ્યા. તેઓ બોલવામાં અચકાતા હતા અને તેમના ક્વાર્ટરમાં દોડી ગયા હતા. એક પાડોશીએ સમજાવ્યું કે તેમને ખીણમાં તેમની ફરજ પર પાછા ફરવા માટે સરકાર તરફથી દબાણ થવાનો ડર હત
પુલવામામાં નાણાં વિભાગનો એક કર્મચારી શનિવારે બપોરે તેની પત્ની અને બે બાળકો સાથે પાછો ફર્યો. "હું પાછો આવવા માંગતો ન હતો, પરંતુ જમ્મુમાં મારા માતા -પિતાએ આગ્રહ કર્યો કે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અમે કેટલાક દિવસો માટે જમ્મુ આવીએ."
અન્ય એક સ્થળાંતરિત કાશ્મીરી પંડિતે જણાવ્યું હતું કે તેનો પુત્ર તેની પત્ની અને બે નાના બાળકો સાથે તે કુપવાડા છોડી ગયો હતો. “તેઓ સાંજ સુધીમાં અહીં પહોંચી રહ્યા છે. હાલના સંજોગોમાં અને તેમાં પણ ખાસ કરીને સુરક્ષિત રહેઠાણની બહાર ભાડાના સ્થળે રહેવું હોય ત્યારે ભાગ્યેજ કઈ કરી શકાય, ”તેમણે નામ ન આપવાની વિનંતી કરતા ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું.
શ્રીનગરના એક શીખ ઉદ્યોગપતિ કે એલ સિંહ (નામ બદલ્યું છે), જે ૧૯૯૦ ના દાયકામાં પણ અહીં રહ્યા હતા, તેમણે કહ્યું કે શીખો આટલા વર્ષોમાં પ્રથમ વખત ડર અનુભવે છે. “અમારા મનમાં ડર મૂકવામાં આવ્યો છે. પ્રથમ વખત, અમારા સમુદાયની મહિલાને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી મારવામાં આવી છે. તે મુસ્લિમ છોકરીઓના શિક્ષણમાં મદદ કરવા માટે માનવતાવાદી કૃત્ય કરી રહી હતી છતાં હત્યા કરવામાં આવી હતી. શ્રીનગરના ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્ય શ્રી સિંહે કહ્યું કે, આ એક અંતિમવાદી કૃત્ય છે અને અમારા દ્વારા તે સહન કરવામાં આવશે નહીં.
“કાશ્મીરના દૂરના વિસ્તારોમાં શિક્ષકો તરીકે કામ કરતી મારી ભત્રીજીઓએ કામ પર જવાનું બંધ કરી દીધું છે. તેઓ સુરક્ષિત પોસ્ટિંગ માટે કહી રહ્યા છે. ૧૫ ઓગસ્ટના રોજ ધ્વજ ફરકાવવાનો તાજેતરનો નિર્દેશ મુસ્લિમો સહિત દરેક માટે હતો, માત્ર શીખ અથવા અન્ય લઘુમતી સમુદાયના શિક્ષકો માટે જ નહીં. પરંતુ લઘુમતીઓ હવે એકલા પડી ગયા છે. મેં આટલા વર્ષોમાં અહીં ભય અને મૌનનું સ્તર આવું ક્યારેય જોયું નથી. કાશ્મીરના બહુમતી સમુદાય દ્વારા લઘુમતીઓની હત્યાની ખુલ્લેઆમ નિંદા કરવાની જરૂર છે." તેમ તેમણે જણાવેલ.
શનિવારે પત્રકાર પરિષદમાં શીખ નેતાઓએ કહ્યું કે શીખ સમુદાય તેના સભ્યોની હત્યાથી નિરાશ નહીં થાય. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના લઘુમતી બાબતોના સચિવ અને એક અગ્રણી શીખ નેતા જોગિન્દર સિંહ શાનએ કહ્યું, "તેઓ (હત્યારાઓ) વિચારી રહ્યા હશે કે ચાર શીખ અથવા દસ શીખોની હત્યા કરી છે તેથી શીખો કાશ્મીર છોડી દેશે." “આ હત્યાઓના કારણે અમે કાશ્મીર છોડવાના નથી. આ આપણું કાશ્મીર છે. ૧૯૪૭ માં ૩૩,૦૦૦ શીખોએ તેના માટે લોહી રેડયું છે.
શીખ નેતાઓએ કહ્યું કે લઘુમતી સમુદાયના સભ્યોની ઓળખ કરી અને તેની હત્યાથી આમને આઘાત લાગ્યો છે. “અમારી ફરિયાદ (મુસ્લિમ સમુદાય સાથે) પણ એ છે કે જ્યારે અમે અંતિમ સંસ્કાર માટે સરઘસ કાઢયું અને (સિવિલ) સચિવાલયની બહાર વિરોધ કર્યો, ત્યારે તેઓ અમારી સાથે જોડાયા નહીં. સરકાર સાથે અમારી ફરિયાદ એ છે કે સમુદાયના બે કે ત્રણ સભ્યો માર્યા ગયા હતા પરંતુ તેઓએ લઘુમતી કર્મચારીઓની સલામતી માટે કોઈ નક્કર પગલાં લીધા ન હતા.