Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગુજરાતઃ ઉ.ભારતીયોની આપવીતી : 'શેરીમાં ઘરે ઘરે ફરી અમને શોધતા હતા ટોળા'

લોકો શેરીઓમાં અમને શોધતા હતા : ૫૦,૦૦૦ લોકોએ છોડયું ગુજરાતઃ પોલીસે બચાવવાની જગ્યાએ ભાગવાની સલાહ આપી

લખનૌ તા. ૧૦ : યૂપીના રાજધાની લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન સોમવારે અડધી રાત્રે સાબરમતી એકસપ્રેસ પહોંચી તો મોટાભાગના પ્રવાસીઓ ગાઢ નિદ્રામાં હતા. પરંતુ રાજકુમાર નિષાદની આંખમાં ઉંઘનું એક મટકું પણ નહોતું. અને નીકળે પણ કેમ રાજકુમારને હજુ પણ ગુજરાતમાં પસાર કરેલા તેના છેલ્લા કલાકો હજુ પણ તેની આંખ સામેથી પસાર થતા હતા અને જનરલ કોચમાં નીચે એક ખુણામાં બેઠો બેઠો તે કહેતો હતો કે મારો તો કંઈ જ વાંક નહોતો છતા આજે મન સજા મળી રહી છે.

નિષાદે કહ્યું કે, 'હું મારી પત્ની અને બે બાળકો સાથે વડોદરામાં રહેતો હતો. એકવાર રાજયમાં હુમલા શરૂ થયા પછી અમારે ત્યાં પણ શેરીઓમાં લોકોના ટોળા ઘરે ઘરે યુપી-બિહારના લોકોને શોધતા હતા. જેના કારણે તે દિવસે મે મારા બાળકોને સ્કૂલે જવાની ના પાડી. તેટલામાં શનિવારે હું જયાં ફેકટરીમાં કામ કરતો હતો ત્યાં ઇન્ચાર્જે કહ્યું કે, બહારથી આવેલા વર્કર્સે હાલ પોતાના ગામ ચાલ્યું જવું જોઈએ અને સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હું તરત જ ઘરે પરત આવ્યો સામાન બાંધ્યો અને મનમાં ઉચાટ સાથે અમે માંડ સ્ટેશન પહોંચ્યા. રસ્તામાં સતત એક ભય અમને કોરી ખાતો હતો.'

તેના બીજા સહપ્રવાસીઓની સ્થિતિ પણ કંઈક આવી જ છે. ૧૪ મહિનાની બાળકી સાથે રેપ બાદ રાજયભરમાં ઉત્તર ભારતના રાજયો અને મધ્યપ્રદેશ સહિતના રાજયોમાંથી આવતા લોકો સામે હિંસક પ્રદર્શન વધી ગયા છે. જેના કારણે લોકો ભયથી બસ, ટ્રક, અને ટ્રેન જે મળે તેમાં ભાગી રહ્યા છે. એક અનુમાન મુજબ અમદાવાદ, વડોદરા, હિમ્મતનગર, મહેસાણા, આણંદ, સાણંદ અને પંચમહાલમાંથી લગભગ ૫૦૦૦૦ લોકો રાતોરાત ગુજરાત છોડી ભાગી ચૂકયા છે.

સ્થિતિની ગંભીરતા અંગે જણાવતા ૧૯ વર્ષના સોનૂએ કહ્યું કે, 'પોલીસ પણ અમને ઘરે ચાલ્યા જવાની સલાહ આપતી હતી. જેમનું કામ અમને સુરક્ષા આપવાનું છે તેઓ જ અમને ભાગી જવાનું કહેતા હતા. તો અન્ય એક યાત્રી બિહારના ખગડિયા જઈ રહ્યો હતો. ઘરે જતા સુરેશ સાહની કહે છે કે મે તો નવેમ્બરમાં છઠ પુજા માટે ઘરે જવાની ટિકિટ બુક કરાવી હતી પરંતુ હવે અત્યારે ઘરે જવાનો જરા પણ ઉત્સાહ નથી. કેમ કે ત્યાં મારા માટે કંઈ જ નથી. કામ પણ નથી અને પગાર પણ નથી. મને જ ખબર નથી કે હવે હું ઘરે જઈને શું કરીશ. અહીં લોકો મારવા આવતા હતા જેથી જે મળ્યું તે ભેગું કરીને પહેલી ટ્રેન પકડી પટના જવા નીકળી ગયો હતો.'(૨૧.૧૩)

 

(11:49 am IST)