Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સર્વંસંમતિનો અભાવઃ ટ્રિપલ તલ્લાક બિલ રાજયસભામાં રજુ ન થયું

શિયાળુ સત્ર સુધી ટળી ગયું બિલઃ સંશોધિત બિલ મામલે પણ શાસક-વિપક્ષ એકમત ન થયા : હવે મોદી સરકાર વટહુકમ લાવે તેવી શકયતાઃ રાજયસભામાં હંગામો થતા બપોર સુધી બેઠક મોકુફ રહી હતીઃ છેલ્લે વૈંકયાએ બિલ રજુ નહિ થાય તેવી જાહેરાત કરી

નવી દિલ્હી, તા., ૧૦: રાજયસભામાં સંશોધીત ૩ તલ્લાક બિલ આજે રજુ થવાનું હતું પરંતુ આ બાબતે સર્વસંમતિ નહિ સધાતા આખરે સરકારે આ બિલ આજે રજુ નહિ કરવાનો નિર્ણય લીધો હતો. આ બિલ હવે સંસદના  શિયાળુ સત્ર સુધી ટળી ગયું છે.  સરકાર હવે આ મામલે વટહુકમ લાવશે કે પછી ઇમરજન્સી કાર્યકારી આદેશ લાવશે તેવું કહેવાય છે. આજે આ બિલ રજુ કરવા સરકારે પુરેપુરી તૈયારી કરી હતી અને સાંસદો માટે વ્હીપ પણ જાહેર કર્યો હતો. પરંતુ રાફેલ બિલ મામલે કોંગ્રેસ સહીતના વિપક્ષોએ હંગામો કરતા બેઠક બપોરે ર.૩૦ સુધી મોકુફ રહી હતી અને બેઠક શરૂ થઇ ત્યારે સભાપતિ વૈંકયા નાયડુએ જાહેરાત કરી હતી કે આ બિલ આજે રજુ નહિ થાય.

આજે આ બિલ મામલે ભાજપ દ્વારા તેના સાંસદો માટે બે વખત બેઠક યોજવામાં આવી હતી અને ભાવી રણનીતી ઘડવામાં આવી હતી. એક બેઠક સવારે અને એક બેઠક બપોરે યોજવામાં આવી હતી.

દરમિયાન કોંગ્રેસના નેતા સોનીયા ગાંધીએ આ બિલ મામલે કહયું હતું કે કોંગ્રેસ પક્ષનું વલણ આ બાબતે સ્પષ્ટ છે. તેમણે કહયું હતું કે આનાથી વધુ હું કશુ કહી શકુ નહિ.

આ અગાઉ ગઇકાલે સરકારે ટ્રિપલ તલ્લાક સંબંધીત કાયદામાં કેટલાક સંશોધનો કર્યા હતા.

આ અગાઉ ગુરૂવારે સરકારે મુસ્લિમોમાં ટ્રિપલ તલાક સંબંધિત પ્રસ્તાવિત કાયદામાં આરોપીને સુનાવણી પહેલા જામીન જેવા કેટલાક સંરક્ષણાત્મક જોગવાઈઓને મંજૂરી આપી હતી. સરકારના આ પગલાથી એ ચિંતાઓને દૂર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ટ્રિપલ તલાકની પરંપરાને ગેરકાયદેસર જાહેર કરવાની અને પતિને ત્રણ વર્ષ સુધી સજા આપનારા આ પ્રસ્તાવિત કાયદાનો દૂરઉપયોગ થઈ શકે છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે મુસ્લિમ વિવાહ મહિલા અધિકાર સંરક્ષણ વિધેયકમાં ત્રણ સંશોધનોને મંજૂરી આપી છે. આ વિધેયકને લોકસભામાં મંજૂરી અપાઈ ચૂકી છે અને તે રાજયસભામાં પેન્ડિંગ છે. પ્રસ્તાવિત કાયદો બિનજામીનપાત્ર રહેશે. પરંતુ આરોપી જામીન માંગવા માટે સુનાવણી પહેલા પણ મેજિસ્ટ્રેટને ગુહાર લગાવી શકે છે. બિનજામીનપાત્ર કાયદા હેઠળ જામીન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં અપાઈ શકશે નહીં.

પ્રસાદે કહ્યું કે આ જોગવાઈ એટલા માટે રાખવામાં આવી છે કારણ કે મેજિસ્ટ્રેટ 'પત્નીની વાત સાંભળ્યા બાદ' જામીન આપી શકે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરંતુ 'પ્રસ્તાવિત કાયદામાં ટ્રિપલ તલાકનો અપરાધ બિનજામીનપાત્ર રહેશે.'

સૂત્રોએ બાદમાં કહ્યું કે મેજિસ્ટ્રેટ એ સુનિશ્યિત કરશે કે જામીન ફકત ત્યારે જ આપવામાં આવે જયારે પતિ વિધેયક મુજબ પત્નીને વળતર આપવા માટે સહમત થાય. વિધેયક મુજબ વળતરની રાશિ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે. એક અન્ય સંશોધન સ્પષ્ટ કરે છે કે પોલીસ ફકત ત્યારે જ એફઆઈઆર દાખલ કરી શકશે જયારે પીડિત પત્ની, તેના કોઈ નજીકના સંબંધી કે લગ્ન બાદ તેના સંબધી બેનેલા કોઈ વ્યકિત દ્વારા પોલીસ પાસે ગુહાર લગાવવામાં આવે.

ત્રિપલ તલાકને રાજકીય રંગ આપવા માટે પ્રયાસો

કોંગ્રેસ સાંસદ દ્વારા વિવાદાસ્પદ નિવેદન

નવીદિલ્હી,તા. ૧૦ : રાજ્યસભામાં સુધારવામાં આવેલા ત્રિપલ તલાક બિલને લઇને ગતિરોધ અકબંધ છે ત્યારે આ મામલાને લઇને હવે રાજકીય રંગ આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસો શરૂ થતાં વિવાદ થઇ ગયો છે. કોંગ્રેસના એક રાજ્યસભા સાંસદ દ્વારા ભગવાન રામને લઇને આપવામાં આવેલા નિવેદન ઉપર વિવાદ થયો છે. આજે સવારે કોંગ્રેસ સાંસદ હુસૈન દલવાઈએ કહ્યું હતું કે, અમારા સમાજના પુરુષ વર્ગનું મહહિલાઓ ઉપર પ્રભુત્વ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભગવાન રામે પણ એક વખતે શંકા રાખીને પોતાના પત્નિ સીતાને છોડી દીધી હતી. આવી સ્થિતિમાં અમે પરંપરાને જ પૂર્ણરીતે બદલવાની જરૂર છે. દલવાઈએ કહ્યું હતું કે, માત્ર મુસ્લિમો જ નહીં હિન્દુ, ખ્રિસ્તી, શિખ સહિતના સમાજમાં મહિલાઓની સાથે અન્યાયપૂર્વકનું વર્તન થઇ રહ્યું છે. ભાજપે આ સંદર્ભમાં માફી માંગવા  રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી છે.

(7:27 pm IST)