Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

યાસીન મલિકે કાશ્મીરમાં આતંકવાદ-અલગતાવાદી પ્રવૃત્તિમાં સામેલ વાત એનઆઈએ કોર્ટ સમક્ષ સ્વીકારી

તિહાર જેલમાં બંધ અલગતાવાદી નેતા યાસીન મલિકે NIA કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો

નવી દિલ્હી :તિહાર જેલમાં બંધ અલગતાવાદી નેતા યાસીન મલિકે NIA કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. યાસીન મલિક એક અલગતાવાદી નેતા છે. તેણે કોર્ટ સમક્ષ કબૂલ્યું છે કે તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.  કોર્ટે યાસીન મલિક સહિત ઘણા અલગતાવાદી નેતાઓ સામે UAPA હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો.

મલિકે કોર્ટને જણાવ્યું હતું કે તે UAPAની કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), કલમ 17 (આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ એકત્ર કરવા), કલમ 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું), કલમ 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય) હેઠળ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા નથી માંગતા.

19મી મેના રોજ સ્પેશિયલ જજ પ્રવીણ સિંહ મલિક સામે લાગેલા આરોપોની સજા અંગે દલીલો સાંભળશે. જેની મહત્તમ સજા આજીવન કેદ છે. દરમિયાન કોર્ટે ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ, ઝહૂર અહેમદ શાહ વટાલી, અને અહેમદ શાહની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિત અન્ય કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવ્યા હતા. આ કેસમાં ફરાર જાહેર કરાયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના વડા હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

   
 
   
(10:44 pm IST)