Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કર્ણાટકમાં ૧૦૦૦ મંદિરોમાં શ્રીરામ સેનાના કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો: સંખ્યાબંધ કાર્યકર્તાઓની અટકાયત: ભાજપ સરકારની સ્પષ્ટ વાત, સુપ્રીમના આદેશ મુજબ કાર્યવાહી કરશે: નિયમ બધા માટે સરખો

બેંગ્લોર : આજે કર્ણાટકના અનેક ભાગોમાં શ્રીરામ સેનાએ મસ્જિદમાં લાઉડ સ્પીકર ઉપર અજાન નહીં રોકવા સબબ ભાજપ સરકાર વિરુદ્ધ ભજન અને હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. કર્ણાટકમાં ૧૦૦૦ મંદિરોમાં શ્રીરામ સેનાના કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસાનો પાઠ કરતાં સંખ્યાબંધ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. લાઉડ સ્પીકર વિવાદ હવે દેશના બીજા ભાગોમાં પણ પ્રસરતો જાય છે.

કર્ણાટક સરકારે કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ કામ કરશે અને નિયમ બધા માટે એક સરખો છે.
મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર ઉપર અજાન કરવાના વિરોધમાં શ્રીરામ સેનાના કાર્યકર્તાઓ આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. શ્રીરામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુતાલિકે લાઉડ સ્પીકર ઉપર અજાનનો મુકાબલો કરવા માટે હિન્દુ મંત્રોનું પ્રસારણ કરવાનું પણ એલાન કરી દીધું હતું. જુદા જુદા હિંદુ સંગઠનોએ તેને સમર્થન આપ્યું છે. પ્રમોદ મુતાલિકે  ચેતવણી આપી છે કે જો કર્ણાટકની ભાજપ સરકાર અજાન  પ્રસારિત કરતા  લાઉડ સ્પીકરોને રોકશે નહીં તો તેઓ સ્પીકર ઉપર હનુમાન ચાલીસા વગાડશે. તેમણે ૯ મેથી આંદોલન શરૂ કરવાનું અગાઉથી એલાન કરી રાખ્યું હતું.

(10:23 pm IST)