Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

'બાહુબલી'ના કટપ્પાની તબિયત લથડી, કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી તા. ૧૦ : દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સરકાર અને બોલિવૂડ સ્ટાર્સ તેના લીધે ચિંતિત છે. સમગ્ર દેશના સિનેમા જગતમાંથી ઘણા મોટા કલાકારોના કોરોનાની ચપેટમાં આવતા હોવાના સતત અહેવાલો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં થોડા સમય પહેલા ફિલ્મ 'બાહુબલી'માં કટપ્પાના નામથી સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણિતા દિગ્ગજ એકટર સત્યરાજના કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે સમાચાર છે કે તેમની તબિયત બગડી છે.

તાજેતરમાં જયારે એક શૂટિંગ દરમિયાન સત્યરાજને કોરોના સંક્રમિત થયો ત્યારે તે નોર્મલ હતો. રિપોર્ટ આવ્યા બાદ તે હોમ આઈસોલેશનમાં હતા. અહેવાલો અનુસાર, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર છે કે સત્યરાજને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા હળવા લક્ષણો અનુભવવાને કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. સમાચારો અનુસાર, તેમની તબિયતમાં કોઈ સુધારો ન થવાને કારણે તેમને ૭ જાન્યુઆરી, શુક્રવારે સાંજે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સત્યરાજના સ્વાસ્થ્યને લઈને કોઈ સત્ત્।ાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમને કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સત્યરાજને તમિલ ફિલ્મોનો સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે ૧૯૭૮માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ફિલ્મ 'બાહુબલી' કટપ્પાની ભૂમિકાએ તેને દેશભરમાં લોકપ્રિય બનાવી દીધો. ફિલ્મ 'ચેન્નઇ એકસપ્રેસ'માં એકટર સત્યરાજે દીપિકાના પિતા અને ડોનની ભૂમિકા ભજવી હતી.

(10:25 am IST)