Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રૂપાણી સરકાર બજેટનાં કદમાં ૩૦ ટકાનો કાપ મૂકશે

કોરોના મહામારીએ સરકારના આયોજનોને હલબલાવી નાખ્યાઃ તમામ વિભાગોને સુધરેલુ બજેટ રજુ કરવા સૂચનાઃ કોરોનાકાળમાં સરકારને મળતી આવકમાં ગાબડુ પડયું છેઃ અંદાજિત બજેટમાં કાપ મૂકવા દરેક વિભાગોને જણાવાયુ

નવી દિલ્હી, તા.૯: કોવિડ-૧૯ મહામારીએ લોકોના જીવનને અટકાવી દીધું છે ત્યારે રાજય સરકારની તિજોરીને પણ ફટકો પડ્યો છે. હકીકતે, રાજય સરકારે તમામ વિભાગોને પોતાનું સુધારેલું બજેટ રજૂ કરવાની સૂચના આપી છે. રાજય સરકારની સૂચના મુજબ સુધારેલું અંદાજિત બજેટ ૨૫%થી ૩૦%ની વચ્ચે રાખવાનું રહેશે અને આ મહિને તેને ફાઈનલ કરી દેવાશે.

સરકારી સૂત્રોનું માનીએ તો, CGST, SGST, VAT, સ્ટેમ્પ ડ્યૂટી અને અન્ય ટેકસ દ્વારા સરકારને મળતી આવકમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ખર્ચ પણ ઘટ્યો છે ત્યારે રાજય સરકારે તમામ વિભાગોને અંદાજિત બજેટમાં કાપ મૂકવાની સૂચના આપી છે. અધિકારીએ કહ્યું, 'આ વર્ષે માર્ચ મહિનામાં રાજય સરકારે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કર્યું હતું. પરંતુ લોકડાઉન અને આર્થિક પ્રવૃત્તિ પરના અન્ય નિયંત્રણોના કારણે રાજયની આવક અંદાજીત સ્તર કરતાં નીચી રહી હતી. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે કહ્યું, 'કોરોના વાયરસ મહામારીના કારણે સરકારને મળતા ટેકસમાં ઘટાડો આવ્યો છે. સરકારે તમામ વિભાગોને સંયમનના માપદંડો અપનાવાનું કહી દીધું છે. સુધારેલા બજેટમાં આની અસર જોવા મળશે. હાલ તો અમે સુધારેલા બજેટને ફાઈનલ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.'

સૂત્રોએ આગળ કહ્યું, 'નવેમ્બરના અંત સુધીમાં તમામ સ્ત્રોતો દ્વારા સરકારને ૪૫,૮૯૪ કરોડ રૂપિયા આવક થઈ, જે અંદાજિત બજેટનના ૪૫.૩૦% છે. નાણાંકીય વર્ષના બાકીના ચાર મહિના (ડિસેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧) દરમિયાન બધા સ્ત્રોતો દ્વારા થયેલી કુલ આવક અંદાજિત બજેટના ૬૫%થી ૭૦% સુધી પહોંચી શકે છે.

આ જ પ્રકારે વિવિધ પ્રોજેકટ પાછળ સરકારને કેપિટલ એકસપેન્ડિચર થયો નથી જેના લીધે નોંધપાત્ર બચત થઈ હશે. ઉપરાંત સંયમનના માપદંડોને અમલમાં મૂકવાના છે ત્યારે ખર્ચા પર કાપ મૂકીને થોડા અંશે રેવન્યૂની ખોટ પૂરી શકાય છે. અધિકારીએ કહ્યું, 'જો કે, આ પગલાને લીધે બજેટ સાઈઝમાં ૩૦ ટકા ઘટાડો જોવા મળશે.'

૨૦૨૧-૨૨ના રાજય સરકારના બજેટ પર ટિપ્પણી કરતાં સૂત્રોએ કહ્યું કે, સરકારે આગામી બજેટની સાઈઝ અંગે નિર્ણય કરવો પડશે. 'હાલનો ટ્રેન્ડ જોતાં લાગે છે કે, નવા નાણાંકીય વર્ષના શરૂઆતના મહિનાઓમાં પણ આવક નીચી રહેશે. જો કેંદ્ર સરકાર દેવાની મર્યાદા વધારવાની મંજૂરી ના આપે તો આગામી બજેટની સાઈઝ પણ ઓછી રહેશે. દેવાની મર્યાદા અને કેંદ્ર સરકાર તરફથી મળતી સહાયની રકમની સ્પષ્ટતા થયા પછી રાજય સરકાર ૨૦૨૧-૨૨ના બજેટ સાઈઝ અંગે નિર્ણય લેશે', તેમ અધિકારીએ જણાવ્યું.

(10:40 am IST)