Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં નિકાસ 197 બિલિયન ડોલર સુધી પહોંચી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું આવતા વર્ષે 450-500 બિલિયન ડોલરની નિકાસનો લક્ષ્‍યાંક રાખી શકીએ છીએ.

નવી દિલ્હી :વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે દેશની નિકાસ સારા દરે વધી રહી છે અને હવે નિકાસકારો આગામી નાણાકીય વર્ષ માટે 450-500 બિલિયન ડોલરના નિકાસનું લક્ષ્‍ય રાખી શકે છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં (એપ્રિલ-સપ્ટેમ્બર)માં નિકાસ 197 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.

ગોયલે જણાવ્યું હતું કે 48 ટકા લક્ષ્‍યાંક હાંસલ થઈ ગયો છે અને આ વર્ષે 400 બિલિયન ડોલરના લક્ષ્‍યને હાંસલ કરવા માટે નિકાસ સાચા માર્ગ પર છે. વિવિધ નિકાસ સંવર્ધન પરિષદ સાથે નિકાસની મધ્ય-ગાળાની સમીક્ષાની અધ્યક્ષતા કરતા તેમણે કહ્યું "આજે અમારા નિકાસકારોએ આપણા બધા ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. આપણે આવતા વર્ષે 450-500 બિલિયન ડોલરની નિકાસનો લક્ષ્‍યાંક રાખી શકીએ છીએ.

તેમણે એમ પણ કહ્યું કે ભારત, યુકે, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન યુનિયન, રશિયા સહિતના વિવિધ દેશો અને બોત્સ્વાના, લેસોથો, નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ જેવા દેશો મળીને બનેલા દક્ષિણ આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (એસએસીયુ) જેવા સંઘો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર વાટાઘાટો કરી રહ્યું છે.

મંત્રીએ કહ્યું કે એન્જિનિયરિંગ સામાનમાં ઘણી સંભાવના છે અને કાપડની નિકાસનો લક્ષ્‍યાંક 100 બિલિયન ડોલર હોવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરે ‘ગતિ શક્તિ’ કાર્યક્રમનું અનાવરણ કરશે. ગોયલે કાઉન્સિલના વડાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું

(12:24 am IST)