Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કેરળ વિમાન દુર્ઘટનાઃ ક્રેશ વિમાનનું બ્લેકબોક્સ મળ્યું

વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે : બોક્સમાં પાયલોટની વચ્ચે થયેલી વાતચીત તેમજ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરની વચ્ચે થયેલ વાતચીત રેકોર્ડ થાય

કોઝીકોડ, તા.૯ : કોઝીકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણોની તપાસ કરવા માટે ડીજીસીએની એક ટીમને શનિવારે વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે. બ્લેક બોક્સ પાયલટ ડેટા ઉપરાંત પાયલટની વચ્ચે થયેલ વાતચીત અને સાથો સાથ તેના અને એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરની વચ્ચે થયેલ વાતચીત રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સને તપાસ માટે દિલ્હી લાવવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)ના પ્રવક્તાએ દાવો કર્યો કે વિમાન રનવે-૨૮ પર ઉતરવાનું હતું પણ પાઇલટને ભારે વરસાદના કારણે લેન્ડિંગના પ્રથમ પ્રયાસમાં રનવે ન દેખાયો. તેથી તેણે રનવે-૧૦ પર લેન્ડિંગની મંજૂરી માગી. રનવેના જે પોઇન્ટ પર વિમાન ઉતરવાનું હતું ત્યાંથી ૧ કિ.મી. આગળ ઉતર્યું, જેના કારણે વિમાનનું સંતુલન ખોરવાયું અને તે ટેક્સી વે નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું. પ્રથમ વખત લેન્ડિગ માટે રનવે-૨૮ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ ભારે વરસાદને લીધે પાયલટ રનવેને જોઈ શકતા ન હતા.

          ત્યારબાદ રનવે-૧૦ માટે મંજૂરી માંગવામાં આવી હતી.  જે રનવે-૧૦ શરૂ થાય ત્યાંથી આશરે ૧૦૦૦ મીટરના અંતર પર આવેલો છે. રનવેની કુલ લંબાઈ ૨,૭૦૦ મીટર છે. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે એરફીલ્ડમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. લેન્ડિગના સમયે વિઝિવિલિટી પણ ૨૦૦૦ મીટર નોંધાઈ હતી. લેન્ડિંગ સમયે વિઝિબિલિટી ૨ હજાર મીટર હતી. રનવેની કુલ લંબાઇ ૨,૭૦૦ મીટર છે. દરમિયાન, કોઝિકોડ પહોંચેલા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ વિમાન અમારા સૌથી અનુભવી કમાન્ડર કેપ્ટન દીપક સાઠે ઊડાવી રહ્યા હતા. તેમને ૧૦ હજાર કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો. તેઓ આ એરપોર્ટ પર ૨૭ વખત લેન્ડિંગ કરી ચૂક્યા હતા. ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએએ એરપોર્ટ પર ઘણા સ્થળે સુરક્ષા સંબંધી વિવિધ મોટી ખામીઓ જણાયા બાદ ગત વર્ષે ૧૧ જુલાઇએ કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, ડીજીસીએના ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે જણાવ્યું કે આ એરપોર્ટની તમામ ખામીઓ ગયા મહિને જ દૂર થઇ ચૂકી છે.

(7:45 pm IST)