Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

૨૪ કલાકમાં ૨૨૭૫૨ નવા ચેપગ્રસ્તોઃ ૪૮૨ દર્દીનાં મોત

દેશમાં કુલ દર્દીઓનો આંક ૭.૪૨ લાખ પર પહોંચ્યો : કુલ મૃત્યુ આંક ૨૦,૬૪૨ પર પહોંચ્યો : અત્યાર સુધીમાં કુલ ૪,૫૬,૮૩૧ લોકો વાયરસને મ્હાત કરવામાં સફળ

નવી દિલ્હી, તા. ૮ :  દુનિયાભરમાં સૌથી વધારે કોરોના વાયરસના ચેપગ્રસ્તોને લઈ ત્રીજા નંબર પર પહોંચી ચૂકેલા ભારતમાં કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપભેર વધતી જઈ રહી છે. ૮મી જુલાઈને બુધવારે સવારે દેશભરમાં વિતેલા ૨૪ કલાકમાં ૨૨,૭૫૨ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. તેની સાથે ૪૮૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. નવા દર્દીઓ નોંધાતાની સાથે દેશમાં કોરોના વાયરસના કુલ ૭,૪૨,૪૧૭ દર્દીઓ નોંધાઈ ચૂકયા છે. જ્યારે દેશમાં ખતરનાક વાયરસથી કુલ મૃત્યુ આંક ૨૦,૬૪૨ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૫૬,૮૩૧ લોકો વાયરસને મ્હાત કરવામાં સફળ રહ્યા છે. હાલ દેશમાં રિકવરી રેટ ૬૧.૫૩ ટકા પર જોવા મળી રહ્યો છે. જ્યારે પોઝીટીવિટી રેટ ૮.૬૬ ટકા છે. એટલે કે જેટલા પણ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ રહ્યા છે, તેમાંથી ૮.૬૬ ટકા સેમ્પલ પોઝીટીવ આવી રહ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર અત્યાર સુધીમાં ૧૮૬ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

                    ૮મી જુલાઈએ સવારે ૧૦.૫૪ સુધીમાં દુનિયાભરમાં કોવિડ-૧૯ના ૧,૧૭,૪૮,૮૪૨ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ૫,૩૮,૫૯૧ લોકોના મોત નિપજ્યા છે. ૪૭,૬૮,૯૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે વિશ્વભરમાં વાયરસના સંક્રમણથી સાજા થનારાઓની સંખ્યા ૬૪,૪૧,૩૩૧ પર પહોંચી છે. જ્યારે ભારતની વાત કરીએ તો ૮મી જુલાઈએ સવારે ૮ સુધીમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૨,૬૪,૯૪૪ નોંધાઈ હતી. દેશભરમાં ટેસ્ટીંગ પર નજર કરીએ તો ૭મી જુલાઈએ અત્યાર સુધીમાં સૌથી મોટી સંખ્યામાં ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. વિતેલા ૨૪ કલાકમાં ૨,૬૨,૬૭૯ સેમ્પલના ટેસ્ટીંગ થયા હતા. દેશભરમાં વાયરસનું સંક્રમણ ફેલાયા બાદથી ૭મી જુલાઈ સુધીમાં દેશમાં ૧,૦૪,૭૩,૭૭૧ સેમ્પલના ટેસ્ટીંગ થઈ ચૂક્યા છે. હાલ દેશમાં સંક્રમણની સંખ્યા વધવાની સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઉત્તરોઉત્તર વધારો થોડા અંશે રાહતની વાત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ટેસ્ટીંગ માટેની લેબની સંખ્યામાં વધારો કરવાના કારણે ટેસ્ટની સંખ્યામાં ઈજાફો જોવા મળી રહ્યો છે. દેશમાં ૧૧૧૫ ટેસ્ટીંગ લેબ વધારવાના પરિણામે છે, હાલ દેશમાં એક કરોડથી વધારે લોકોનો કોરોના ટેસ્ટ થઈ ચૂક્યો છે.

(12:00 am IST)