Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

દેશમાં મોટા નક્સલી હુમલા

નક્સલવાદીઓ જોરદારરીતે હજુ સક્રિય

દાંતેવાડા, તા. ૯ : છત્તીસગઢના નક્સલવાદીગ્રસ્ત દાંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ આજે ભાજપના ધારાસભ્યના કાફલા ઉપર ભીષણ હુમલો કરી દીધો હતો. દાંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા ઉપર માઓવાદીઓ દ્વારા આઈઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. બીજી બાજુ આ હુમલામાં ધારાસભ્ય ભીમા મંડાવીનું પણ મોત થયું છે. દાંતેવાડા છત્તીસગઢની બસ્તર લોકસભા સીટ હેઠળ આવે છે. અહીં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે.

*    ૯મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે દાંતેવાડા જિલ્લામાં ભાજપના કાફલા ઉપર હુમલો કરાતા પાંચ જવાન શહીદ થયા અને એમએએલ ભીમા મંડાવીનું મોત થયું

*    જુલાઈ ૨૦૧૮માં નક્સલવાદીઓએ છત્તીસગઢના કાંકેરમાં બીએસએફના જવાનો ઉપર હુમલો કર્યો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા

*    ૧૩મી માર્ચ ૨૦૧૮ના દિવસે સીઆરપીએફની ૨૧૨મી બટાલિયન પર આઈઈડી બ્લાસ્ટ રાયો હતો જેમાં નવ જવાન શહીદ થયા હતા

*    ૨૫મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં ૨૫ જવાન શહીદ થયા

*    ૨૫મી મે ૨૦૧૩ના દિવસે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૦૦૦થી વધુ નક્સલવાદીઓની ટોળકીએ કરેલા હુમલામાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લ સહિત ૨૫ લોકોના મોત થયા હતા. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન આ હુમલો કરાયો હતો

*    છઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડા જિલ્લામાં ચિતલનાર વન્ય વિસ્તારોમાં નક્સલીઓના હુમલામાં સીઆરપીએફના ૭૫ જવાન સહિત ૭૬ લોકોના મોત થયા હતા

*    ચોથી એપ્રિલ ૨૦૧૦ના દિવસે ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં પોલીસની બસ ઉપર હુમલો કરાયો હતો જેમાં ૧૦ જવાન શહીદ થયા હતા અને ૧૬ ઘાયલ થયા હતા

*    ૨૩મી માર્ચ ૨૦૧૦ના દિવસે બિહારના ગયા જિલ્લાની રેલવે લાઈન ઉપર વિસ્ફોટ કરીને ભ્વનેશ્વર-નવીદિલ્હી રાજધાનીને પાટાપરથી ઉતારી દેવામાં આવી હતી

*    ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે પશ્ચિમ બંગાળના શિરદામાં આશરે ૧૦૦ નક્સલવાદીઓની ટોળકીએ પોલીસ કેમ્પ ઉપર હુમલો કરીને ૨૫ પોલીસ જવાનોની હત્યા કરી હતી અને હથિયારો લૂંટી લીધા હતા

*    ૮મી ઓક્ટોબર ૨૦૦૯ના દિવસે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં લાહીડી પોલીસ સ્ટેશનમાં હુમલો કરીને ૧૭ પોલીસ જવાનોની હત્યા કરી હતી

 

 

(7:38 pm IST)