Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

એકબીજાને પસંદ ન કરનાર પણ હવે એકઠા થયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આગરામાં ૨૯૮૦ કરોડના પ્રોજેક્ટો લોંચ કરાયા : સરકારની ઝડપી વિકાસ કામગીરીથી વિરોધીઓની ઉંઘ હરામ : નમામી ગંગે મિશન હેઠળ યમુનાને સ્વચ્છ કરાશે

આગરા, તા. ૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આગરા પહોંચ્યા હતા અને ગંગાજળ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આના પરિણામ સ્વરુપે ઐતિહાસિક આગરા શહેરમાં પાણી પુરવઠામાં સુધારો થશે. આ પ્રોગ્રામના લીધે સારા અને શુદ્ધ પીવાના પાણીના સપ્લાયમાં સુધારો થશે. પ્રવાસીઓની સાથે સાથે સામાન્ય લોકોને પણ રાહત થશે. મોદીએ આગરામાં ૨૯૮૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો લોંચ કર્યા હતા જેમાં આરોગ્ય, સેનિટેશન, શિક્ષણ સંબંધિત પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. મોદીની આગરા યાત્રા ખુબ જ મહત્વપૂર્ણ બની ગઈ હતી. કારણ કે, એક દિવસ પહેલા જ આર્થિકરીતે પછાત સવર્ણ જાતિ માટે ૧૦ ટકા અનામતને મંજુરી આપવામાં આવી હતી. મોદીએ ત્યારબાદ વિશાળ રેલીને સંબોધન કરીને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ ઉપર પ્રહાર કર્યા હતા. ઉત્તરપ્રદેશમાં જાતિ સમીકરણો માટે પણ આજના કાર્યક્રમો મહત્વપૂર્ણ રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાં જાતિ સમીકરણ કોઇપણ રાજકીય પાર્ટી માટે ખુબ મહત્વપૂર્ણ મુદ્દો રહે છે. મોદીએ આગરામાં જુદા જુદા કાર્યક્રમોની શરૂઆત કરાવી દીધા બાદ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. તેમણે આગરામાં કહ્યું હતું કે, એકબીજાને જોવાનું પણ પસંદ નહીં કરનાર રાજકીય હરીફો અમારો વિરોધ કરવા માટે સાથે આવી રહ્યા છે. અમને પરાજિત કરવા માટે એકત્રિત થઇ રહ્યા છે. મોદીએ નિર્મલા સીતારામન સામે થઇ રહેલા પ્રહારો ઉપર પણ જવાબ આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અમારી રક્ષામંત્રીને પાર્લામેન્ટ મેં વિરોધી દલ કે છક્કે છુડા દિયે ઉનકે જુઠ કો બેનકાબ કર દિયા, ઐસા બૌખલા ગયે કી એક મહિલા રરક્ષામંત્રી કા અપમાન કરને પર તુલે હુએ હે. મોદીએ રાફેલ મુદ્દા ઉપર લોકસભામાં ચર્ચા દરમિયાન નિર્મલા સીતારામન પર પ્રહાર કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. ઉજ્જવળ ભારત માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ક્વોટા બિલના કારણે તમામને ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે, આયુષ્યમાન ભારત હેઠળ માત્ર ૧૦૦ દિવસની અંદર ૭ લાખ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી ચુકી છે. આગરામાં તેમણે એમ પણ કહ્યું હતું કે, નમામી ગંગે મિશન હેઠળ યમુના નદીને સ્વચ્છ કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આગરામાં કેટલાક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ આગરામાં પણ વિરોધીઓ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા.

(7:27 pm IST)