Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ત્રીજી લહેરના ખતરાની વચ્ચે

૨૪ કલાકમાં ૩૭,૮૭૫ લોકો સંક્રમિત : ૩૬૯ દર્દીના મોત

૧૭,૫૩,૭૪૫ સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું : કેરળમાં એક જ દિવસમાં ૨૫ હજારથી વધુ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૮ : દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ઊભો થઈ રહ્યો હોય એવું રોજ સામે આવતા સંક્રમણના મામલાથી લાગી રહ્યું છે. કેરળમાં એક દિવસમાં ૨૫ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૮ લોકો સંક્રમિત થયા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૭ કેસ નોંધાયા છે. પણ સારી બાબત એ છે કે રાજયમાં રિકવરી રેટ દેશની સરેરાશ કરતાં વધુ ૯૮.૭૬ ટકા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૭,૮૭૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૬૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોતનો આંકડો ૧૪૭ દિવસનો સૌથી ઓછો છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૦,૯૬,૭૧૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૭૦,૭૫,૪૩,૦૧૮ લોકોને કોરોના વેકસીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮,૪૭,૬૨૫ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૨ લાખ ૬૪ હજાર ૫૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૯,૧૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૯૧,૨૫૬ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૧,૪૧૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૩,૪૯,૪૩,૦૯૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૫૩,૭૪૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(11:08 am IST)