Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સોમવારથી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની હડતાળ

સરકાર સાથેની મિટિંગમાં પ્રશ્નો ન ઉકેલતા નિર્ણય :૧૮ હજારથી વધુ નર્સ તેમજ નર્સિંગ વિદ્યાર્થીઓ પણ અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતરશે: અમદાવાદ સિવલ સહિતની રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને જીએનએમ-એએનએમ નર્સિંગ સ્ટાફ સહિત હડતાલ પાડશે

અમદાવાદ : સરકારે ગત ૨૫મીએ બેઠક કર્યા બાદ પણ નિર્ણય ન કરાતા અંતે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનો નર્સિંગ સ્ટાફ૧૪મીથી અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. કોરોના ઘટતા હવે હોસ્પિટલોમાં અન્ય રોગોની સારવાર અને ઓપરેશનો માંડ માંડ શરૃ થયા છે ત્યારે નર્સિંગ સ્ટાફની હડતાળથી સરકારની મુશ્કેલી વધી શકે છે.

  યુનાઈટેડ નર્સીસ ફોરમની આજે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી અને જેમાં સરકાર સામે ફરી એકવાર આંદોલન શરૃ કરવાનો ઠરાવ કરવામા આવ્યો હતો.ઉચ્ચતર પગાર ધોરણ,ગ્રેડ પે, વિવિધ પ્રકારના એલાઉન્સિસ તેમજ નર્સિંગની વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ સહિતની વિવિધ માંગણીઓને લઈને યુનાઈટેડ નર્સીગ ફોર્મ દ્વારા ઘણા સમયથી રજૂઆતો કરવામા આવી રહી હતી ત્યારે સરકારે કોઈ નિર્ણય ન કરતા ગત મહિને નર્સિંગ સ્ટાફે હડતાળ પાડી હતી પરંતુ કોરોનાના કેસો વધવા સાથે દર્દીઓ હોસ્પિટલોમા વધુ હોવાથી અને વાવાઝોડુ પણ હોવાથી સરકારે નર્સિંગ એસો.ના હોદ્દેદારોને સમજાવ્યા હતા અને ૨૫મી મેએ બેઠક ગોઠવી હતી.જેને પગલે નર્સિંગ એસો.દ્વારા હડતાળ મોકુફ કરી દેવાઈ હતી.

 ૨૫મીએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નાણા વિભાગના અધિકારીઓ સાથે નર્સિંગ એસો.ના હોદ્દેદારોની મીટિંગ મળી હતી .યુનાઈટેડ નર્સિંગ ફોરમના સેક્રેટરી દેવીબેન દાફડાએ જણાવ્યું કે ગત સરકારે અમારી સાથે વાત કરતા અમને માનવતાના ધોરણે હડતાળ મોકુફ કરી હતી અને ત્યારબાદ ૨૫મી મેની મીટિંગમાં તમામ માંગણીઓ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને સરકાર તરફથી મોટા ભાગની માંગણી બાબતે હકારાત્મક વલણ સાથે લાભો આપવાની ખાત્રી આપવામા આવી હતી.જો કે દસ દિવસ બાદ પણ સરકાર તરફથી કોઈ પણ માંગણી બાબતે લેખિત નિર્ણય જાહેર કરાયો નથી ઉપરાંત ગત મીટિંગની મીનિટસ પણ આપવામા આવતી નથી.આમ નર્સિંગ સ્ટાફ સાથે ભારે અન્યાય કરવામા આવે છે.

સરકારે  સરકારી કોલેજ મેડિકલ ટીચર્સ, જીએમઈઆરએસ ટીચર્સ  તથા જીએમઈઆરએસ નર્સિંગ સ્ટાફ ઉપરાંત રેસિેડન્ટ ડોક્ટરો ઉપરાંત ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથી-ફિઝિયોથેરાપી માટે પણ માંગણીઓ સ્વીકારી તેઓને લાભ આપ્યા છે .માત્ર નર્સિંગ સ્ટાફને કોઈ લાભ અપાતો નથી અને નર્સિંગ સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ પણ અપાતુ નથી.જેથી હવે ના છુટકે ૧૪મીથી ઓચોક્કસ મુદતની હડતાળ પાડવામા આવશે.જેમાં અમદાવાદ સિવલ સહિતની રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને જીએનએમ-એએનએમ નર્સિંગ સ્ટાફ સહિત ૧૮ હજારથી વધુ નર્સ જોડાશે.

(9:14 pm IST)