Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વિવાદિત ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ભજજીએ સોશ્યલ મીડિયા પર માફીપત્ર પણ શેર કર્યો

ખાલીસ્તાની આતંકવાદી જનરેલ સિંહ ભિંડરાવાલાને શહીદ ગણાવતી પોસ્ટ પર હરભજનસિંહે માફી માંગી

અમૃતસરઃ ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર અને લાંબા સમયથી ક્રિકેટ ટીમની બહાર રહેલા હરભજન સિંહે પોતાની વિવાદિત ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સૌ કોઈની માફી માંગી છે. ભજજીએ સોશિયલ મીડિયા પર માફીપત્ર પણ શેર કર્યો છે.

 હરભજને ઈન્સ્ટાગ્રામ પર ઓપરેશન બ્લૂ સ્ટારની ૩૭મીં વરસી પર સુવર્ણ મંદિરની અંદર માર્યા ગયેલા જરનેલ સિંહ ભિંડરાવાલાને શ્રદ્ધાંજલિ આપતા તેમને શહીદ ગણાવી દીધા.

આ પોસ્ટ પર હરભજન સિંહની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, હરભજનને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી, તો કેટલાક યુઝર્સે ભજજી વિરૂદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. યુઝર્સ હરભજનને મળેલા તમામ એવોર્ડ પરત લેવાની પણ માંગ કરી રહ્યાં છે.

જો કે હરભજને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સ્પષ્ટ રીતે ભીંડરાવાલેનું નામ નથી દર્શાવ્યું.જણાવી દઈએ કે, ઓપરેશન બ્લૂ સ્ટાર ૧ જૂનથી ૮ જૂન ૧૯૮૪ સુધી અમૃતસરના સુવર્ણ મંદિરમાં અંજામ આપવામાં આવ્યું હતું. જે ભારતીય સેના તરફથી પાર પાડવામાં આવેલ એક મોટું મિશન હતું. ભજજીએ પોતાના માફીનામામાં લખ્યું છે કે, ''મેં ગઈકાલે જે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી, તેના વિશે સ્પષ્ટતા કરું છું અને માફી માંગુ છું. જે એક વ્હોટ્સઅપ ફોરવર્ડ મેસેજ હતો, જે મે ઉતાવળમાં સમજ્યા વિચાર્યા વિના શેર કરી દીધો અને તેનો અર્થ જાણવાનો પ્રયત્ન  પણ ના કર્યો.

આ મારી ભૂલ હતી અને હું તેને સ્વીકારૃં છે. આ પોસ્ટમાં જે ફોટો છે, હું તેવા લોકોને કોઈ પણ પ્રકારનું સમર્થન નથી કરતો. હું શીખ છુ, જે દેશ વિરૂદ્ધ નહી, પણ દેશ માટે લડશે. દેશવાસીઓની લાગણી દુભાવવા બદલ હું માફી માંગુ છું. મેં આ દેશ માટે ૨૦ વર્ષ સુધી લોહી પાણી એક કર્યા છે. હું કયારેય કોઈ એવી વાતને સમર્થન નહીં કરું, જે ભારત વિરૂદ્ધ હોય.

(12:03 pm IST)