Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જેમણે અમને જીતાડયા તેઓ પણ અમારા, જે જીતાડવામાં ચૂકયા તેઓ પણ અમારાઃ પીએમ મોદી

લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેરળ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યાં, તેમણે કહ્યું કે અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી પરંતુ આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયાં. હું તેમને જણાવવા માંગુ છું કે કેરળ પણ મારું એટલું જ છે જેટલું બનારસ મારું છે

તિરુવનંતપુરમ, તા.૮: લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેરળ પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે અનેક રાજકીય પંડિતો એવું વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી પરંતુ આમ છતાં મોદી ધન્યવાદ કરવા પહોંચી ગયાં. હું તેમને જણાવવા માંગુ છું કે કેરળ પણ મારું એટલું જ છે જેટલું બનારસ મારું છે. વડાપ્રધાને કહ્યું કે જે લોકો અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા તેઓ પણ અમારા છે.

ગુરુવાયૂરમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા બદલ કેરળના લોકોનો આભાર વ્યકત કર્યો. વડાપ્રધાને કહ્યું કે, 'જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ છે, તે આ વખતની ચૂંટણીમાં સારીપેઠે જોવા મળ્યું. રાજકીય પક્ષો જનતાના મિજાજને ઓળખી શકયા નહીં. પરંતુ જનતાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો. હું માથું નમાવીને જનતાને નમન કરું છું.' મોદીએ ગુરુવાયૂરને પુણ્ય ભૂમિ તરીકે ગણાવી.

વડાપ્રધાને કહ્યું કે અમે ભાજપના કાર્યકર્તા ચૂંટણી રાજકારણ માટે મેદાનમાં નથી હોતા. અમે ૩૬૫ દિવસ જનતાની સેવામાં લાગેલા હોઈએ છીએ. અમે રાજકારણમાં ફકત સરકાર બનાવવા માટે નથી આવ્યાં. અમે રાજકારણમાં દેશ બનાવવા માટે આવ્યાં છીએ. પીએમ મોદીએ કહ્યું કે અમને જનપ્રતિનિધિ ૫ વર્ષ માટે જનતા બનાવે છે પરંતુ અમે જનસેવક છીએ, જે આજીવન છીએ અને જનતા માટે સમર્પિત હોઈએ છીએ.

તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં જનતાએ નકારાત્મકતાને ફગાવી દીધી છે. પીએમ મોદીએ કહ્યું કે, 'ચૂંટણી દરમિયાન ભારતની ૧૩૦ કરોડની જનતાએ સકારાત્મકતાને સ્વીકારી અને એક વા જોશ સાથે નકારાત્મકતાને ફગાવી દીધી. જેણે વિશ્વસ્તરે દેશના વલણને મજબુત બનાવ્યું.'

પીએમ મોદીએ કહ્યું કે કેરળની યુવા પેઢી માટે પર્યટન રોજગારનો સ્ત્રોત છે. એનડીએ સરકારની યોજનાઓની અસર હવે જોવા મળી રહી છે અને દેશ પર્યટનના માનચિત્રમાં ખુબ આગળ આવી ગયો છે. કેરળમાં હેરિટેજ ટુરિઝમની ખુબ સંભાવના છે અને સરકાર તેના માટે પ્રયત્નો કરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે નિપાહ  વાઈરસ કેરળમાં સામે આવ્યો છે. હું રાજય સરકાર અને કેરળની જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આ વાઈરસને પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી તેમને સંપૂર્ણ સહયોગ મળશે.

(4:00 pm IST)