Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પંજાબમાં ધાર્મિક જુલુસમાં ફટાકડા વિસ્ફોટથી ચકચાર

ફટાકડા વિસ્ફોટની ઘટનામાં ૧૪થી વધુના મોત : ઘાયલ થયેલ ૨૦થી વધુ લોકો પૈકી અનેકની હાલત ગંભીર

ચંદીગઢ, તા. ૮ : પંજાબના તરનતારન જિલ્લામાં આજે ધાર્મિક જુલુસ દરમિયાન ફટાકડા વિસ્ફોટમાં ૧૪થી વધુ લોકોના મોત થઇ ગયા હતા જ્યારે આ બનાવમાં ૨૦થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, ઘાયલ થયેલા લોકોની સંખ્યા પૈકી મોટી સંખ્યામાં લોકો ગંભીરરીતે ઘાયલ થયેલા છે. પંજાબ પોલીસે આ ઘટનાને સમર્થન આપ્યું છે. પોલીસે કહ્યું છે કે, ધાર્મિક જુલુસ દરમિયાન આ ફટાકડા એક ટ્રેક્ટર ટ્રોલી પર લઇ જવામાં આવી રહ્યા હતા. પંજાબના આઈજીપી (બોર્ડર) એસપીએસ પરમારે કહ્યું હતું કે, ધડાકામાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. મળેલી માહિતી મુજબ મૃતકોની સંખ્યા વધીને ૧૪ થઇ ગઇ છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હજુ આ સંખ્યા વધુ વધી શકે છે.

        પરમારે એમ પણ કહ્યું છે કે, ધાર્મિક જુલુસ દરમિયાન લોકો ફટાકડા ફોડી રહ્યા હતા જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં ફટાકડાનો જથ્થો પણ મોટા પ્રમાણમાં હતો. પરમારે ઉમેર્યું હતું કે, ફટાકડામાં આગના લીધે વિસ્ફોટની શરૂઆત થઇ હતી. વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે ટ્રોલીને ભારે નુકસાન થયું હતું. આસપાસ રહેલા લોકો પણ સકંજામાં આવી ગયા હતા. આગની ઘટના વચ્ચે ભારે અફડાતફડી મચી ગઈ હતી. પરમારે કહ્યું હતું કે, ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇની પણ ઓળખ થઇ શકી નથી. અફડાતફડીના માહોલ વચ્ચે લોકો મુશ્કેલીમાં દેખાયા હતા. અંધાધૂંધી વચ્ચે પણ પોલીસે ઉલ્લેખનીય કામગીરી મારફતે લોકોને ખસેડ્યા હતા.

(7:48 pm IST)