Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

૧૦૦ કરોડથી વધુની આવક માત્ર ૬૧ લોકોએ જાહેર કરી

અગાઉના વર્ષમાં સંખ્યા માત્ર ૩૮ રહી હતી : મૂલ્યાંકન વર્ષ ૨૦૧૭-૧૮માં સંખ્યામાં નોંધનીય વધારો

નવીદિલ્હી, તા. ૮ : લોકસભામાં આજે માહિતી આપતા નાણાં રાજ્યમંત્રી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, મૂલ્યાંકન વર્ષ ૨૦૧૭-૧૮ના ગાળા દરમિયાન ૧૦૦ કરોડથી વધુની આવક જાહેર કરનાર વ્યક્તિગતોની સંખ્યા માત્ર ૬૧ જેટલી નોધાઇ છે. આ સંખ્યા અગાઉના વર્ષની સરખામણીમાં ઉલ્લેખનીયરીતે વધી છે. આ સંખ્યા પહેલા ૩૮ હતી. લોકસભામાં પ્રશ્નોના જવાબમાં  રાધાકૃષ્ણને કહ્યું હતું કે, એક વર્ષની અંદર ૧૦૦ કરોડથી વધુની કુલ આવક જાહેર કરનાર વ્યક્તિગતોની સંખ્યા નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૪ હતી ત્યારબાદથી એક ક્રમશઃ તેમાં વધારો થયો છે. ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ દાખલ કરવામાં આવેલી વ્યક્તિગતોની સંપત્તિ એક વર્ષની અંદર ગણવામાં આવી છે. પ્રધાને જણાવ્યું હતું કે, વ્યક્તિના વર્ગીકરણની પરિભાષા સ્પષ્ટરીતે દર્શાવવામાં આવી નથી. અબજોપતિ તરીકે વ્યક્તિની વર્ગીકરણની યુનિફોર્મ પરિભાષા નહીં હોવાના લીધે આ જટિલ સ્થિતિ સર્જાયેલી છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા બેનામી સંપત્તિ લેવડદેવડ કાયદા હેઠળ સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સંસ્થાઓ દ્વારા જપ્તી હેઠળ ૬૯૦૦ કરોડ રૂપિયાની રકમ આવી પહોંચી છે. રાજ્ય નાણામંત્રી શિવપ્રતાપ શુક્લાએ પણ કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૧૮ સુધી ઇન્કમ ટેક્સ સત્તાવાળાઓ દ્વારા ૨૦૦૦થી વધુ બેનામ લેવડદેવડ શોધી કાઢવામાં આવી છે. આમા બેંક ખાતામાં ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. જમીનના પ્લોટ, ફ્લેટ અને જ્વેલરીનો પણ સમાવેશ થાય છે. સંપત્તિ જપ્ત કરવા સાથે સંબંધિત કેસોની સંખ્યા ૧૮૦૦થી ઉપર છે.

 

(7:40 pm IST)