Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શનમાં : પાંચ દિનમાં ૧૦ રાજ્યોમાં પહોંચવા તૈયાર

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પર રાજકીય પક્ષોની નજર : જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે સાથે ઝંઝાવતી પ્રચાર કરીને રેલી કરશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તિસગઢ, પશ્ચિમ બંગાળ અને આસામમાં વ્યસ્ત રહેશે

નવી દિલ્હી,તા. ૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇને હવે તૈયારીરૂપે એક્શન મોડમાં આવી ગયા છે. જેના ભાગરૂપે ઝંઝાવતી પ્રચાર અને પ્રવાસ કરવા માટે તેમની યોજના તૈયાર થઇ ગઇ છે. પાર્ટીના વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે હવે આવતીકાલથી પાંચ દિવસના ટુંકા ગાળામાં જ મોદી ૧૦ રાજ્યોમાં પ્રવાસ કરનાર છે. જ્યાં જુદા જુદા વિકાસ કાર્યક્રમ, શિલાન્યાસ કાર્યક્રમ અને ઉદ્ઘાટન કાર્યક્રમની સાથે સાથે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર રેલી મારફતે કરનાર છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ વધારી દેવા માટે મોદી સજ્જ છે. પાંચ રાજ્યોની મોદીની યાત્રા લોકસભા ચૂંટણી પહેલા ઉપયોગી છે. મોદી ૧૦ રાજ્યોમાં પ્રચાર દરમિયાન એક રાત્રે આસામમાં રોકાણ કરનાર છે. આ પ્રવાસથી પહેલા મોદી હાલમાં જમ્મુ કાશ્મીર અને બંગાળનો પ્રવાસ કરી ચુક્યા છે. આવતીકાલે આઠમી ફેબ્રુઆરીના દિવસે મોદી ત્રણ રાજ્યોમાં પહોંચનાર છે. છત્તિસગઢના રાયગઢના કોંડાતરાઇમાં એક રેલીને સંબોધન કરનાર છે. આ છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદીની પ્રથમ છત્તિસગઢ યાત્રા છે. ત્યારબાદ મોદી પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં રેલી કરનાર છે. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે ત્યારે તેમની આ યાત્રા ઉપયોગી સાબિત થઇ શકે છે. મોદી અહીં રેલી દરમિયાન મમતા બેનર્જી સરકાર પર તેજાબી પ્રહારો કરી શકે છે. રાજ્યના પોલીસ કમીશનર રાજીવ કુમારની સીબીઆઇ દ્વારા પુછપરછ કરવાના હાથ ધરવામાં આવેલા પ્રયાસ સામે મમતા બેનર્જી ધરણા કરી ચુકી છે. પોતાના પ્રદેશમાં મમતા બેનર્જી શિવરાજ સિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ અને અન્યોની રેલી પર બ્રેક મુકી ચુકી છે. આવી સ્થિતીમાં મોદી તેમના પર જોરદાર પ્રહાર કરે તેમ માનવામાં આવે છે. નવમી ફેબ્રુઆરીના દિવસે આસામના પાટનગર ગુવાહાટીમાં મોદી કેટલાક વિકાસ કાર્યોનુ  ઉદ્ઘાટન કરનાર છે. બ્રહ્યપુત્ર નદી પર બનાર પુલ માટે આધારશિલા મુકનાર છે. એમ્સનુ શિલાન્યાસ કરશે અને ગેસ પાઇપલાઇનનુ ઉદ્ઘાટન કરનાર છે. આ ગેસ પાઇપલાઇન નોર્થ ઇસ્ટને નેશનલ ગ્રીડ સાથે જોડશે. આસામથી મોદી સીધી રીતે અરૂણાચલ પ્રદેશ જશે. અરૂમાચલમાં મોદી નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનુ ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી ત્રિપુરા જશે. જ્યાં તેઓ રેલી કરનાર છે. ત્રિપુરાથી મોદી દિલ્હી પરત ફરનાર છે. ૧૦મી ફેબ્રુઆરીના દિવસે મોદી તમિળનાડુમાં પહોંચનાર છે. જ્યાં તિરુપુરમાં રેલી કરનાર છે. અહીંથી કર્ણાટકના હુબલી જનાર છે. જ્યાં પણ તેમની રેલી થનાર છે. ત્યાંથી મોદી આંધ્રપ્રદેશના ગુન્ટુર જશે અને અહીં પણ તેમની રેલી છે. આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. અહીં પણ મોદી નાયડુ સરકાર પર આકરા પ્રહારો કરી શકે છે. ૧૧મી ફેબ્રુઆરીના દિવસે મોદી મથુરામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ સંસ્થા દેશના ૧૯ લાખ બાળકોને મિડ ડે મિલની વ્યવસ્થા કરે છે. મોદીના આ કાર્યક્રમમાં કેટલીક નવી વિશેષતા રહી શકે છે. કારણ કે માનવામાં આવે છે કે મોદી આ કાર્યક્રમમાં કેટલાક બાળકોને ભોજન પિરસીને આપનાર છે. આ કાર્યક્રમમાં યોદી અને કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર રહેનાર છે.

(12:00 am IST)