Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ખેડૂતોનું કાલે ભારત બંધ : સુરક્ષા સઘન કરવા કેન્દ્ર સરકારની સુચના

કૃષિ કાયદાના વિરોધમાં દેશના અનેક રાજકીય પક્ષો-સંગઠનોનું સમર્થન : સવારે ૧૧થી બપોરે ત્રણ વાગ્યા સુધીના બંધના એલાનના પગલે સરકાર ચિંતામાં : પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવા પગલાં લેવા દેશવ્યાપી નિર્દેશ

નવી દિલ્હી, તા.૭ : આંદોલનકારી ખેડૂતોના આઠ ડિસેમ્બરે ભારત બંધના એલાનના પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ જળવાઇ રહે એવા પગલા લેવાના નિર્દેશ આપ્યા હતા. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ દેશવ્યાપી નિર્દેશમાં કહેવામાં આવ્યું હતું કે, આ દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવે અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવામાં આવે. ખેડૂતો દ્વારા ક-ષિ કાયદાઓના વિરોધમાં આઠમીએ સવારે ૧૧થી બપોરે ત્રણ વાગ્યા સુધી બંધ પાળવાનું એલાન આપવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ સોમવારે જણાવ્યુ કે, કેન્દ્ર સરકારના આ નિર્દેશોનો મુખ્ય ઉદેશ આઠ ડિસેમ્બરે દેશમાં બનતી કોઇ અપ્રિય ઘટનાને રોકવાનો છે. ભારત બંધનું એલાન દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ નવા કૃષિ કાયદાએને પરત ખેંચવાની માગને લઇને કર્યુ હતું. ખેડૂતોના આંદોલનને કોંગ્રેસ, રાકાંપા, દ્રુમક, સપા, ટીઆરએસ અને વામપંથી દળો જેવી મહત્વની રાજકીય પાર્ટીઓ સમર્થન આપી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે સિંધુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે ૧૨મો દિવસ છે. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતોના આગેવાનો અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અત્યાર સુધી થયેલી બેઠકોનું કોઇ પરિણામ આવ્યું નથી. આંદોલનકારી ખેડૂતોમાં મોટાભાગના પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામેલ હતા. તેઓ નવા કૃષિ કાયદાઓને પરત કરવાની માગ પર અડગ છે, જ્યારે કેન્દ્ર સરકાર તેમાં સુધારાનો પ્રસ્તાવ મૂકી ચૂકી હતી. આ દરમિયાન ખેડૂતોએ ૮ ડિસેમ્બરે, આવતી કાલે ભારત બંધનું એલાન કર્યુ હતું.

નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગણી સાથે ખેડૂતો છેલ્લા ૧૧ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સાથે ઘણી વાટાઘાટો બાદ કોઈ પરિણામ ન આવતા ખેડૂતો દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ખેતીના ત્રણ નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. હજી આ વિવાદનો અંત આવ્યો નથી અને સરકારે ખેડૂતોને ૯ ડિસેમ્બરે ફરીથી ચર્ચા માટે બોલાવ્યા છે.

ઘણા બધા બેંક યુનિયનોએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (એઆઈબીઈએ)એ તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, સરકારે આગળ આવીને દેશ અને ખેડૂતોના હિતમાં આ સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. ઉપરાંત, ટ્રેડ યુનિયરોના સંયુક્ત ફોરમે ખેડૂતોને સમર્થન આપ્યું છે, તેમાં નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઈન્ટુક), ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (એઆઈટીયુસી), હિંદ મઝદૂર સભા (એચએમએસ), સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન (સિટી), ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર (ટીયુસીસી)નો સમાવેશ થાય છે.

મંગળવારે જે સેવાઓને અસર થશે તેમાં દૂધ, શાકભાજી અને કરિયાણાની ચીજ-વસ્તુઓની હેરફેર અને બેક્નિંગ સેવાનો સેવાનો થાય છે. દિલ્હીવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે કેમકે ઓટો અને ટેક્સી યુનિયનોએ પણ ભારત બંધમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી ટેક્સી ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના પ્રેસિડન્ટ સંજય સમ્રાટે કહ્યું કે, દિલ્હી સ્ટેટ ટેક્સી કોઓપરેટિવ સોસાયટી અને કૌમી એકતા વેલફેર એસોસિએશન સહિતના કેટલાક યુનિયનો ૮મી ડિસેમ્બરની હડતાળમાં જોવાના છે. જોકે, બીજા ઘણા યુનિયનોએ ખેડૂતોની માંગને સમર્થન આપ્યું છે, પણ તેમની સેવાઓ ચાલુ રાખશે.

ખેડૂત આંદોલનને પગલે ૮મી ડિસેમ્બરે અપાયેલા ભારત બંધમાં વાહન વ્યવહારને અસર થવાની આશંકા જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રવેશવા માટે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સલાહ આપી છે. તકેદારીના ભાગરૂપે નેશનલ હાઈવે ૪૪ને બંધ રહેશે. વાહન ચાલકોને લામપુર, સાફિયાબાદ, સબોલી બોર્ડર્સથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને ઓઉટર રિંગ રોડ, જીટીકે રોડ અને નેશનલ હાઈવે ૪૪નો ઉપયોગ ન કરવા કહેવાયું છે. નોઈડા-દિલ્હી વચ્ચે ચિલ્લા બોર્ડર પરનો નોઈડા લિંક રોડ બંધ રહેશે. જ્યારે ગાઝિયાબાદ બોર્ડર પરનો ગાઝિયાબાદ-દિલ્હીને જોડતો નેશનલ હાઈવે ૨૪ પણ બંધ રહેશે.

ઓલિમ્પિક મેડાલિસ્ટ અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહે રવિવારે ચીમકી આપી હતી કે, જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો પોતાનો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પાછો આપી દેશે. રવિવારે પંજાબના ગુરુદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલે કહ્યું હતું કે, તેઓ પક્ષ અને ખેડૂતો બંનેની સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે, વિકાસ માટે સુધારાઓ જરૂરી છે અને જૂની સદીના કેટલાક કાયદાઓ હવે બોજારૂપ બની ગયા છે. આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ કરતા મોદીએ જણાવ્યું હતું કે, તેની સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યા છે. જોકે, વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન નવા કૃષિ કાયદાઓનો પ્રત્યક્ષ ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, વિકાસ માટે સુધારાઓ જરૂરી છે. નવી સુવિધાઓ આપવા માટે સુધારાઓ અત્યંત જરૂરી છે. આપણે જૂની સદીના કાયદા સાથે નવી સદીનું નિર્માણ કરી શકીએ નહીં. કેટલાક કાયદા ગત સદીમાં સારા હતા પરંતુ વર્તમાન સદીમાં તે બોજારૂપ બની ગયા છે. સુધારા અને પરિવર્તન એક આવશ્યક પ્રક્રિયા છે.

ખેડૂત સંગઠનો જાહેર કરવામાં આવેલા ભારત બંધને વિરોધ પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ રવિવારે જણાવ્યું હતું કે કૃષિ કાયદાને પાછ ખેંચાશે નહીં. જોકે, તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોની માગ પ્રમાણે તેમાં રહેલી કેટલીક જોગવાઈમાં સુધારો થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા આ કાયદાથી ખેડૂતોને આઝાદી મળશે. અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે ખેડૂતોને પોતાનો પાક તેઓ જ્યાં ઈચ્છે ત્યાં વેચવાનો હક હોવો જોઈએ. સ્વામિનાથન કમિશનના રિપોર્ટમાં પણ આ ભલામણ કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન, એનસીપી વડા શરદ પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ડાબેરી મોરચાના સિતારામ યેચુરી તથા ડી રાજા સહિત ઘણી રાજકિય પાર્ટીઓએ ખેડૂતોના બંધના એલાનનું સમર્થન કર્યું છે. એનડીએનો ભાગ રહેલી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી પણ સમર્થનમાં જોડાઈ છે. જોકે, ત્રુણમુલ કોંગ્રેસના એમપી સૌગાતા રોયે કહ્યું હતું કે, તેમની પાર્ટી ખેડૂતોની સાથે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં ભારત બંધનું સમર્થન કરશે નહીં.

(8:53 pm IST)