Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ગરીબોની મદદ કરવા લાદયો કર

કોરોના સામે લડવા પૈસા ખુટી જતા અર્જેન્ટીનાએ પૈસાદારો પર લગાવ્યો ટેક્ષ

નવી દિલ્હી,તા.૭ : કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને લેટિન અમેરિકન દેશ અર્જેન્ટીનાએ એક નવો મિલકત વેરા કાયદો પસાર કર્યો છે, જેમાં દેશના પૈસાદાર લોકો ઉપર એક ખાસ કર લગાવવામાં આવશે.

સરકારનું કહેવું છે કે આ વેરા દ્વારા જે રકમ ભેગી થશે, તેનો ઉપયોગ દવા અને જરૂરી વસ્તુઓની ખરીદી કરવામાં અને રાહતકાર્યો માટે કરવામાં આવશે.

લખપતિ પર વેરોના નામે ઓળખાતા આ ખાસ કાયદાની દરખાસ્તને શુક્રવારે સેનેટરોએ ૪૨ મતોથી પસાર કરી હતો. દરખાસ્તની વિરુદ્ઘ ૨૬ મત પડ્યા હતા.

નવા કાયદા મુજબ આ વેરો એક જ વખત લગાવવામાં આવશે. આ વેરો તે વ્યકિતઓ પર લગાવવામાં આવશે, જેમની પાસે ૨૦ કરોડ પેસો એટલે કે ૨૫ લાખ અમેરિકન ડોલરની મિલકત છે.

અર્જેન્ટીનામાં આશરે ૧૨,૦૦૦ ધનિક લોકો છે, જેમણે નવા કાયદા હેઠળ સરકારને વેરો ચૂકવવો પડશે.

અર્જેન્ટીનામાં અત્યાર સુધી કોરોના વાઇરસના ૧૫ લાખ જેટલા કેસ સામે આવ્યા છે અને ૪૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.

અર્જેન્ટીના ઓકટોબરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા ૧૦ લાખને આંબી ગયું હતું. માત્ર ૪.૫ કરોડની વસતિ ધરાવતો આ દેશ તે સમયે કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોની યાદીમાં પાંચમો અને સૌથી નાનો દેશ બની ગયો હતો.

પહેલાંથી બેરોજગારી, ગરીબી અને સરકારી લોનની સમસ્યા સામે ઝઝૂમી રહેલા આ દેશની અર્થવ્યવસ્થા કોરોના વાઇરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે મુશ્કેલીમાં આવી પડી છે. ૨૦૧૮થી અર્જેન્ટીના આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે.

કાયદાનો સમર્થન કરી રહેલા એક મંત્રીએ જણાવ્યું કે, નવા વેરા કાયદાની અસર દેશના માત્ર ૦.૮ કરદાતાઓ પર થશે. જે લોકો આ કાયદા હેઠળ આવશે, તેમને દેશમાં આવેલી મિલકત માટે ૩.૫ ટકા અને વિદેશમાં આવેલી મિલકત માટે ૫.૨૫ ટકાના હિસાબે વેરો ભરવો પડશે.

નવેમ્બરમાં સંસદમાં આ કાયદાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેની ચર્ચા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ તેનો વિરોધ કર્યા હતો

સમાચાર સંસ્થા એએફપી અનુસાર વેરા દ્વારા જે રકમ ભેગી થશે, તેમાંથી ૨૦ ટકા રકમ મેડિકલ સપ્લાયની ખરીદી માટે ખર્ચ કરવામાં આવશે. જે પૈસા બચશે, તેમાંથી ૨૦ ટકા રકમ નાના અને મધ્યમ વ્યવસાયને રાહત આપવા માટે, ૨૦ ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે, ૧૫ ટકા સામાજિક વિકાસ માટે અને ૨૫ ટકા કુદરતી ગેસ આધારિત ઉદ્યોગો માટે વાપરવામાં આવશે.

 મધ્યવર્ગી - વામપંથી રાષ્ટ્રપ્રમુખ અલ્બેર્ટો ફર્નાન્ડેજની સરકારને આશા છે કે નવા વેરાથી મદદથી તેઓ ૩૦૦ અરબ પેસો જેટલી રકમ ભેગી કરી શકશે.જોકે, વિરોધ પક્ષો કહી રહ્યા છે કે વેરાથી એક બાજુ વિદેશી રોકાણકારો નિરાશ થશે તો બીજી બાજુ આ વેરો એવો નહીં હોય, જેને માત્ર એક વખત લગાવવામાં આવશે. મધ્યવર્ગી - દક્ષિણપંથી પક્ષના યૂન્તોસ પોર અલ કૈમ્બિયો કહે છે કે આ એક રીતે વ્યકિતની મિલકતને ટાંચમાં લેવા જેવું છે.

(11:40 am IST)