Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

GSTની આવકથી વધુ રિફંડ ન આપવાના મૌખિક ફતવાથી વેપારીઓ હેરાન

ઉચ્ચ અધિકારીઓએ ઘટક પ્રમાણે અધિકારીઓને સૂચના આપતા રિફંડ રિજેકટ કરવાના કિસ્સા વધ્યા : અધિકારીઓનો ઠપકો સાંભળવાના બદલે વેપારીઓને પરેશાન કરવા નવા નવા રસ્તા શોધી કઢાયા

નવી દિલ્હી, તા.૭: નિયમ પ્રમાણે રિફંડ આપવાનુ હોવા છતાં અધિકારીઓ દ્વારા રિફંડની અરજી નામંજુર કરવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. તે માટે એવી હકીકત જાણવા મળી છે કે સ્ટેટ જીએસટીના દ્યટકની આવકથી વધુ રિફંડ ચુકવવામાં આવ્યુ તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને ઠપકો આપવાની સાથે તપાસ પણ કરવામાં આવતી હોય છે. તેના કારણે રીફંડની અરજી વધુને વધુ રદ કરવાના કિસ્સામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેના લીધે વેપારીઓની પરેશાની પણ વધી છે.

સ્ટેટ જીએસટીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવો મૌખિક ફતવો જાહેર કરવામાં આવ્યો છે કે જે ઘટકની જેટલી આવક હોય તેના કરતા કોઇએ પણ વધારાનુ રીફંડ ચુકવવુ નહીં. જો ચુકવવામાં આવશે તો વધુ રિફંડ ચુકવનાર સામે કાર્યવાહી કરવાની પણ ચિમકી આપવામાં આવી છે. તેના લીધે અધિકારીઓ દ્વારા રિફંડની અરજી મંજુર કરવામાં નાની નાની બાબતોની પણ ખામી કાઢીને નોટીસ આપતા હોય છે. કારણ કે ઉચ્ચ અધિકારીઓનો ઠપકો સાંભળવાના બદલે વેપારીઓની રિફંડ અરજી નામંજુર કરવામાં આવે તો વેપારીઓ જુજ જ કિસ્સામાં અપીલમાં જતો હોય છે. તેના કારણે અધિકારીઓ હવે વેપારીઓને પરેશાન કરતા થયા છે. જોકે જીએસટીના કાયદામાં કરવામાં આવેલી તમામ જોગવાઇ પ્રમાણે રિફંડ આપવાનુ હોવા છતાં હવે નવો રસ્તો શોધીને રિફંડ અટકાવવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે.

વેપારીઓ દ્વારા એકથી ત્રણ લાખ રુપિયાના રીફંડ આપવામાં નહીં આવે અથવા તો વખતો વખત અરજી કર્યા બાદ તેની અરજી નામંજુર કરવામાં આવે તો વેપારી અપીલમાં જતો જ નથી. તે માટેનુ કારણ એવુ છે કે વેપારી દ્વારા અપીલમાં જાય તો તેના માટે ઓછામાં ઓછો ૨૫ હજારનો ખર્ચ કરવો પડે. તેમજ અપીલની સુનાવણી હોય ત્યારે હાજર પણ રહેવુ પડતુ હોય છે. તેના લીધે વેપારી બગાડીને પણ ત્યાં જવા કરતા રીફંડ જતુ કરતા હોવાની હકીકતો જાણવા મળી છે. આવા જ કારણોસર અધિકારીઓને પણ એક લાખથી લઇને ત્રણ લાખની રકમના રીફંડની અરજી વધુને વધુ સંખ્યામાં નામંજુર કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે.

રીફંડની ઝંઝટ દુર કરવા માટેના પ્રયાસ થાય તો જ વેપારીઓની સમસ્યા ઉકલે

જીએસટી લાગુ થયા બાદ એક પછી એક પરેશાનીનો સામનો વેપારીઓ કરી રહ્યા છે. તેના કારણે જ વેપારીઓએ આંદોલન કરવાની ફરજ પડી હતી. જયારે હજુ પણ વિવર્સોને ક્રેડિટ કેરી ફોરવર્ડની સમસ્યા યથાવત છે. જયારે છેલ્લા બેથી ત્રણ મહિનામાં રિફંડ ઝડપથી મંજુર નહીં કરવાના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થવાની સાથે સાથે વેપાર બંધ કરવાની સ્થિતી સર્જાઇ છે. કારણ કે રિફંડ છુટુ નહીં થવાના લીધે રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. તેની સામે વળતર ઓછુ મળવાના કારણે આખરે વેપાર બંધ કરવાની નોબત પણ આવીને ઊભી રહે છે. જેથી આ સમસ્યાના નિરાકરણ માટે તાકીદે પગલાં ભરવામાં આવે તે ખુબ જ જરુરી છે.

(11:35 am IST)