Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુશાંત ફિલ્મો છોડીને ઓર્ગેનીક ખેતી કરવાનો હતો

સુશાંત આપઘાત કેસની એફઆઈઆરમાં પિતા કિશોરસિંહના સનસનીખેજ ખુલાસા : રિયાએ ધમકી આપેલી કે તુ ફિલ્મલાઈન છોડી દઈશ તો તુ પાગલ છો એવુ મીડિયામાં જાહેર કરી અને બર્બાદ કરી નાખીશ : સુશાંતનો મોબાઈલ નંબર પણ બદલી નાખેલો : વિશ્વાસુ કર્મચારીઓને પણ છૂટા કરી દીધા હતા : સુશાંત તેના પિતાને દર મહિને ૨૫ હજાર મોકલતા તે વાતથી પણ રીયા ચક્રવર્તી નારાજ હતી : બિહાર પોલીસે સીબીઆઈને માહીતી આપી

મુંબઈ, તા. ૭ : અભિનેતા સુશાંતના આપઘાત પ્રકરણમાં સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે ત્યારે સુશાંતના પિતાએ નોંધાવેલ એફઆઈઆરમાં સનસનીખેજ ખુલાસા બહાર આવ્યા છે.

સુશાંતના પિતા કિશોરસિંહે ફરીયાદમાં જણાવ્યુ હતું કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારે સુશાંતને ફસાવવા ષડયંત્ર જ રચ્યુ હતું. તે મારા પુત્રની દરેક બાબતોમાં દખલગીરી કરતી હતી. સુશાંત અગાઉ જે ઘરમાં રહેતો હતો ત્યાં પણ ભૂતપ્રેત છે તેવુ કહી તેનું ઘર પણ બદલાવી મુંબઈ એરપોર્ટ નજીક લેવડાવ્યુ હતું. રીયાનો આખો પરિવાર સુશાંતને માનસિક ટોર્ચર આપતુ હતું અને કહેતા કે તારી સારવાર સારા ડોકટર પાસે કરાવીશુ. સારવારના બહાને સુશાંતને રીયા તેના ઘરે લઈ ગઈ અને દવાના ઓવરડોઝ આપવામાં આવતા. રીયા એમ પણ કહેતી કે તને ડેન્ગ્યુ થઈ ગયો છે. એટલા માટે વધારે દવાઓ આપવી પડશે.

સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર ઉપર વધુ ગંભીર આક્ષેપો મૂકતા  કહ્યું કે સુશાંતને કોઈપણ ફિલ્મની ઓફર આવે તો રીયા એમ કહેતી કે સુશાંતની સાથે મને જ હિરોઈન તરીકે કામ આપવુ નહિંતર ફિલ્મમાં સુશાંત કામ નહિં કરે. તેણે સુશાંતના વિશ્વાસુ કર્મચારીઓને પણ છુટા કરી દીધા હતા. તેના તમામ બેંક ખાતાઓ અને ક્રેડીટ કાર્ડ પણ પોતાના કબ્જામાં લઈ લીધા હતા. સુશાંત તેના પરિવારજનો સાથે વાત પણ ન કરી શકે તે માટે તેના મોબાઈલ નંબર પણ બદલાવી નાખ્યા હતા. સુશાંતે મને (પિતા - કિશોરસિંહ) કહ્યું હતું કે આ લોકો મને પાગલખાનામાં નાખી દેવા માગે છે. હું કંઈ કરી શકતો નથી. સુશાંત ફિલ્મલાઈન છોડીને કૂર્ગ, કેરળમાં ઓર્ગેનીક ખેતીનો વ્યવસાય તેના મિત્ર મહેશ સાથે કરવા માંગતો હતો. ત્યારે રીયાને આ વાતની ખબર પડતા તેણે સુશાંતને ધમકી આપી કે જો તું ફિલ્મલાઈન છોડીને અલગ વ્યવસાય કરીશ તો તારો રિપોર્ટ મીડિયા સમક્ષ રજૂ કરી દઈશ અને એવુ જાહેર કરી દઈશ કે તુ પાગલ છો.

જયારે સુશાંતે રીયાની વાત ન માની અને તેનું બેંક બેલેન્સ પણ ખતમ થવા જઈ રહ્યુ હતું ત્યારે રીયા અને તેના પરીવારે સુશાંતના ઘરમાંથી રોકડ, દસ્તાવેજ, સારવારના તમામ કાગળો, લેપટોપ, ક્રેડીટ કાર્ડ સહિતની વસ્તુઓ લઈને ચાલી ગઈ હતી અને રીયાએ તેનો મોબાઈલ પણ બ્લોક કરી દીધો હતો.

(4:08 pm IST)