Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

તેજપ્રતાપ મારીજુઆના જેવા ડ્રગ્સનો બંધાણી છેઃ પત્ની ઐશ્વર્યાનો આક્ષેપ

તેજપ્રતાપ ડ્રગ્સનું સેવન કરી સ્વયંને શિવનો અવતાર સમજતો હતો

પટણા તા. ૭: બિહારના રાજદના નેતા લાલુપ્રસાદ યાદવના પુત્ર અને રાજયના પૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવની પત્ની ઐશ્ચર્યાએ પોતાના પતિ તેજપ્રતાપ ડ્રગ એડિકટ હોવાનો આક્ષેપ કર્યો છે.

ઐશ્વર્યાએ તેજપ્રતાપ યાદવથી છૂટાછેડા લેવા માટે કરેલી અરજીમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. આ અરજીમાં ઐશ્વચર્યાએ તેજપ્રતાપ યાદવ પર ગંભીર આરોપો મુકયા છે. ઐશ્વર્યાએ જણાવ્યું છે કે તેજપ્રતાપ મારીજુઆના જેવા નશીલાં ડ્રગ્સ લઇને મારા પર ત્રાસ ગુજારતા હતા.

ઐશ્વર્યાએ ઘરેલું હિંસા સંરક્ષણ અધિનિયમ ર૦૦પની કલમ-ર૬ હેઠળ અરજી દાખલ કરીને ફેમિલી કોર્ટમાં સુરક્ષાની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય  છે કે લાલુપ્રસાદ યાદવ અને રાબડીદેવીના મોટા પુત્ર તેજપ્રતાપ સાથે તેનાં લગ્ન મે-ર૦૧૮માં થયાં હતાં.ઐશ્વર્યાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન બાદ જ તેમને ખબર પડી હતી કે તેજપ્રતાપ યાદવ નશીલા અને માદક દ્રવ્યોનો બંધાણી છે. ઐશ્વર્યાએ એવું પણ જણાવ્યું છે કે ડ્રગ્સનું સેવન કરીને તેજપ્રતાપ સ્વયંને શિવનો અવતાર હોવાનો દાવો કરે છે. ઐશ્વર્યાના જણાવ્યા અનુસાર એક વાર ડ્રગ્સ લીધા બાદ તેજપ્રતાપ ઘાઘરા અને ચોલી પહેરીને દેવી રાધાની જેમ રૂપ ધરતો હતો. તેજપ્રતાપ એવું કહેતો હતો કે રાધા જ કૃષ્ણ છે અને કૃષ્ણ જ રાધા છે.આમ કરવા પર જયારે તેમને રોકવામાં આવતા તેજ કહેતો હતો કે ગાંજો તો ભગવાન ભોલે બાબાનો પ્રસાદ છે. તેને કઇ રીતે ના પાડી શકાય? ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તેણે આ બાબતમાં પોતાના સાસરિયાંઓને વાત કરી હતી, પરંતુ કોઇએ તેમને મદદ કરી ન હતી. તેજપ્રતાપની આવી વર્તણુંક અંગે મેં મારાં સાસુ અને નણંદને વાત કરી હતી, પરંતુ તેમણે મને પોકળ આશ્વાસન આપ્યું હતું કે તેજ હવે આવો વ્યવહાર નહીં કરે, પરંતુ તેની વર્તણુંકમાં કોઇ ફેર પડયો નહોતો.

(3:09 pm IST)