Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ર દિ'માં ૨૭ ઇંચ વરસાદ

ભારે વરસાદ બાદ મહાબળેશ્વર-લવાસા પ્રવાસીઓ માટે બંધ

ઠેર-ઠેર લેન્ડસ્લાઇડ થવાથી રસ્તો જોખમી બનતાં અવરજવર બંધ કરાઇ

મુંબઇ તા ૭  :  છેલ્લા કેટલાક સમયથી મુંબઇગરાઓનાં પ્રિય  હિલ સ્ટેશનો મહાબળેશ્વર અને લવાસામાં ભારે વરસાદ પડવાથી અહીંના રસ્તાઓ પર અવારનવાર લેન્ડસ્લાઇડ થવાની ઘટનાઓ બની રહી છે. આને લીધે પ્રવાસીઓ જોખમમાં મુકાઇ શકે છે એટલે આ બન્ને પ્રવાસન સ્થળ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઇથી ઉચાઇએ આવેલા મહાબળેશ્વર જવા માટે પોલાદપુરનો રસ્તો સલામતી માટે ૨૪ કલાકથી બંધ કરવામાં આવ્યો છે. જોકે વાઇ ખંડાલા માર્ગ ચાલુ હોવાથી લોકોની અવરજવર ત્યાંથી હોવાનું તંત્ર દ્વારા જણવા મળ્યું છે.

મહાબળેશ્વરમાં જવા માટે વાઇ અને પોલાદપુર એમ બે માર્ગ છે. મુંબઇથી જનારાઓ માટે પોલાદપુરનો રસ્તો નજીક પડતો હોવાથી મોટાભાગના લોકો આ માર્ગ પસંદ કરે છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસે જણાવ્યા મુજબ સોમવારની સાંજે આ માર્ગ પર ભારે વરસાદને લીધે અનેક સ્થળે લેન્ડસ્લાઇડ થવાથી બંધ કરી દેવામાં આવ્યો છે.

મહાબળેશ્વરમાં ડ્રાયફ્રુટની શોપ ધરાવતા ભિખુભાઇએ કહ્યું હતું કે,'છેલ્લા ૪૮ કલાકમાં અહીં ૨૭ ઇંચ વરસાદ પડયો છે, અત્યારે પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. અહીં સાધારણ રીતે આખા ચોમાસામાં સરેરાશ ૨૫૦ ઇંચ વરસાદ પડે છે. આ વર્ષે હજી અડધુ ચોમાસું પણ પુરૂ નથી થયું ત્યાં ૨૧૫ ઇંચ વરસાદ પડી ચુકયો છે. આ વખતે લાગે છે કે, અગાઉના બધા રેકોર્ડ તોડીને ૩૦૦ થી ૩૨૦ ઇંચ વરસાદ પડવાની શકયતા છે.'

લવાસામાં પણ ઠેર-ઠેર લેન્ડસ્લાઇડ થવાથી મુખ્ય માર્ગો જોખમી બનતાં પ્રવાસીઓને અહીં ન આવવાની ચેતવણી પ્રશાસને આપી હોવાનું જાણવા મળ્યું હતું. શનિવાર અને રવિવારે અહીં વરસાદની મજા  માણવા માટે મોટા  પ્રમાણમાં યાત્રીઓ હતા, જેઓ સોમવારે સવારે નીકળી ગયા હતા. ત્યારબાદ વરસાદનું જોર વધ્યું હતું એટલે ટુરિસ્ટો અટવાયા હોવાની શકયતા  નહીંવ્ત હોવાનું સ્થાનીક પ્રશાસને કહ્યું હતું.

(11:38 am IST)