Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાહુલ ગાંધી પોરબંદરથી આસામ સુધીની કરશે ભારત જોડો યાત્રા

ચોમાસા સત્ર બાદ આ યાત્રા શરૂ થાય તેવી સંભાવના

નવી દિલ્‍હી તા. ૭ : કન્‍યાકુમારીથી કાશ્‍મીર સુધીની ભારત જોડો યાત્રા પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક પદયાત્રા કરવા જઈ રહ્યા છે. પોરબંદરથી શરૂ થતી આ પદયાત્રા આસામ સુધી જશે. ગુજરાત કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક મહિના બાદ રાયુપરમાં મળનારી ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટીના પ્‍લાનિંગ સેશનમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ગાંધીજીના જન્‍મ સ્‍થળ પોરબંદરથી આ યાત્રા શરૂ થશે. પદયાત્રા અંગેની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ એવુ જાણવા મળી રહ્યુ છે કે, સંસદના ચોમાસા સત્ર બાદ વર્ષના અંત સુધીમાં આ પદયાત્રા નીકળશે. ‘કન્‍યાકુમારીથી કાશ્‍મીર સુધીની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને ભવ્‍ય પ્રતિસાદ મળ્‍યો હતો. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટી બેરોજગાર, મોંઘવારી અને અસમાનતા સહિતના લોકોના પ્રશ્ન સફળ રીતે ઉઠાવ્‍યા હતા. જોકે પોરબંદરથી આસામ સુધીની આ પદયાત્રાનો નિર્ણય પ્‍લાનિંગ સેશનમાં લેવામાં આવશે'

બીજી તરફ ભારત જોડોયાત્રાના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિ હાથથી હાથ જોડો યાત્રા શરૂ કરવા જઈ રહી છે. આ રેલીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગુજરાતના દરેક જિલ્લામાં હાથથી હાથ જોડો યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિવિધ જિલ્લામાં લોકોને મળશે અને બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસનું વલણ લોકોને જણાવશે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્‍તા મનિષ દોશીએ આ અંગે જણાવ્‍યું હતુ કે, હાથથી હાથ જોડો યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દરેક ગામ, તાલુકા અને જિલ્લાના લોકોને મળશે.

રાહુલ ગાંધીએ ૭ સ્‍પ્‍ટેમ્‍બર, ૨૦૨૨થી તમિલનાડુના કન્‍યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કુલ ૧૨ રાજયોમાં ૩૫૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને ૧૩૬ દિવસ સુધી આ યાત્રા ચાલી હતી. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વિવિધ રાજયના લોકો વચ્‍ચ સીધો સંપર્ક કર્યો હતો. રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા શ્રીનગરમાં પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં નેતા, અભિનેતા, નિવૃત સૈનિકો, વિવિધ એજન્‍સીઓના નિવૃત વડા સહિતના લોકો જોડાયા હતા.

(10:42 am IST)