Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સાવધાન ! તહેવારો ટાંકણે કોરોનાએ કળા કરી આજે ૬ મોત : નવા ૨૫ કેસ

તંત્રના ચોપડે ગઇ કાલે એક પણ મૃત્યુની નોંધ નહિ : શહેર -જીલ્લાની કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૨૧૯૫ બેડ ખાલી : શહેરમાં કુલ કેસનો આંક ૮૮૩રએ પહોંચ્યો : ૫ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન : હાલ ૩૧ કાર્યરત : ૨૯ હજાર ઘરોનો સર્વે : માત્ર ૮ લોકોને શરદી, તાવના લક્ષણો દેખાયા

રાજકોટ, તા. ૬:  વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં  છેલ્લા સપ્તાહમાં મુત્યુની સંખ્યામા સતત ઘટાડો  જોવા મળી રહ્યો હતો. ત્યારે ફરી મૃત્યુ આંકમાં વધારો થયો છે. આજે ૬ દર્દીઓની મોત થયા છે. જ્યારે શહેરમાં બપોર સુધીમાં વધુ ૨૫ કેસ નોંધાયા છે.

છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. સાથો સાથે દિવાળીમાં તહેવારોમાં લોકો વધુ બેદરકાર બન્યા છે. જેના કારણે ગઇ કાલથી કોરોના કેસ ફરી વધવા પામ્યા છે. અને મૃત્યુઆંક પણ વધતા તંત્ર વાહકો ફરી ચિંતીત બન્યા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  એક  પણ મૃત્યુની નોંધ થઇ નથી .

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૫નાં સવારે ૮ વાગ્યાથી તા.૬ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૬ નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી એક  પણ મૃત્યુ જાહેર નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૯૫ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૨૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૮૩૨  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૨૩૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૫૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૨૨૫  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૮૯  ટકા થયો  હતો. જયારે ૫૮  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૬૧,૬૧૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૮૩૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ૨.૪૫ ટકા થયો છે.

૫ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની પરિસ્થિતિએ    હર્ષિલ પાર્ક-સાધુ વાસવાણી રોડ, મનહર પ્લોટ, સરકાર વસાહત-આકાશવાણી ચોક, હાથીખાના, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડ સહિતના પંાંચ વિસ્તારોમાં નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે.જયારે હાલમાં ૩૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ  કાર્યરત છે.

૨૯ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૮ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૯,૧૧૪  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે ગાંધીગ્રામ, ભારતીનગર, અક્ષરનગર, ભીસ્તીવાડ, પેડક રોડ, નવલનગર, ગીતાનગર રણછોડનગર સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૫૮૦ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:40 pm IST)