Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોના હવાથી ફેલાતો હોવાનો વિજ્ઞાનીનો દાવો

વિજ્ઞાનીઓએ ફરીવાર નવો દાવો કર્યો : હાલ દુનિયાભરમાં એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે કોરોના વાઇરસનો ચેપ હવામાં પ્રસરીને ફેલાય છે કે કેમ ?

ન્યૂયોર્ક,તા. : કોરોના વાયરસની બીમારી અંગે આવેલા એક નવા સંશોધનમાં ચોંકાવનારી વાત કહેવામાં આવી છે. દાવા પ્રમાણે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. ૩૨ દેશોના ૨૩૯ વિજ્ઞાનીઓએ વિશ્વ આરોગ્ય સંસ્થાને ખુલ્લો પત્ર લખી હવામાં તરતાં નાના કણો દ્વારા લોકોને કોરોનાનો ચેપ લાગતો હોવાના પુરાવાઓ રજૂ કરીને વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની ભલામણોમાં સુધારો કરવા જણાવ્યું છે. હાલ દુનિયાભરમાં મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે કોરોના વાઇરસનો ચેપ હવામાં પ્રસરીને ફેલાય છે કે કેમ? વિશ્વ આરોગ્ય સંસ્થાનો દાવો છે કે જ્યારે કોરોનાનો દર્દી કફ કાઢે કે છીંકે ત્યારે જે ટીપાં(ડ્રોપલેટ) પડે તેમાંથી કોરોના વાયરસનો ચેપ લાગે છે. બીજી તરફ અમુક વિજ્ઞાાનીઓ એમ માને છે કે કોરોનાનો ચેપ હવામાં તરતાં કણો દ્વારા લાગે છે.

          એટલે કે તેનો ચેપ હવા દ્વારા કોઇને પણ લાગી શકે છે. હાલમાં બાર-રેસ્ટોરાં અને બજારોમાં જે રીતે મોટાપાયે કોરોનાના નવા દર્દીઓ નોંધાઇ રહ્યા છે તેને કારણે મહિનાઓથી કહી રહેલાં વિજ્ઞાાનીઓની વાતને ટેકો મળ્યો છે. વાયરસ બંધ જગ્યામાં હવામાં તરે છે અને તેનો ચેપ બધાને લાગે છે. જ્યાં પૂરતા હવાઉજાસ હોય ત્યાં ભીડવાળી જગ્યામાં મહત્વનું પરિબળ બની રહે તેમ છે. સ્પિટલોમાં સારવાર કરતાં આરોગ્ય કર્મચારીઓએ પણ એન- ૯૫ માસ્ક ફરજિયાત પહેરવો પડશે. મુખ્ય વિજ્ઞાાની ડો. સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે અમે નવા વૈજ્ઞાાનિક પુરાવાઓને બને એટલી ઝડપે તપાસી રહ્યા છીએ. જ્યારે અમને કોઇ પડકારે કે તેઓ અમારા કરતાં સારૃં કરી શકે છે ત્યારે અમે તેમની વાત સારી રીતે સાભળીએ છીએ.

            અગાઉ સપાટી પરથી ફેલાતા ફોમાઇટને મામલે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની વાત સુધારવી પડી હતી. હવે સપાટી પરથી ફેલાતા ચેપનું પ્રમાણ નહિવત હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. સંશોધકોએ આક્ષેપ કર્યો હતો કે  વિશ્વ આરોગ્ય સંસ્થા એરોસોલ અને ટીપાં વચ્ચે ખોટા ભેદ પાડે છે. જ્યારે બંને રીતે લોકોને કોરોનાનો ચેપ લાગે છે. એપ્રિલમાં ૩૬ વિજ્ઞાાનીઓએ લિડિયા મોરવસ્કાની આગેવાની હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થાને કોરોના હવા દ્વારા ફેલાઇ રહ્યો હોવાના પુરાવા વધી રહ્યા હોવાની જાણ કરી હતી. હૂએ તત્કાળ બેઠક બોલાવી મામલે તેમની સાથે ચર્ચા કરી હતી પણ બાદમાં કમિટિની સલાહને યથાવત રાખવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે તેમણે હાઇડ્રોક્સીકલોરોક્વીનની ટ્રાયલ બંધ કરી દીધી છે. મેલેરિયાની સારવારમાં વપરાતી દવાને લોપિનાવિર-રિટોનાવિર સાથે વાપરવાથી પણ કોરોનાના દર્દીઓને કોઇ લાભ થતો નથી તેવી કમિટીની ભલામણ સંસ્થાએ સ્વીકારી લીધી છે.

(10:04 pm IST)