Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

ફોર્ટિસ અને મણિપાલ વચ્‍ચેના કરારને રોકવા માટે દિલ્‍હી હાઇકોર્ટને દરમિયાનગીરી કરવા ડાઇચી સાન્ક્યોની અરજી

નવી દિલ્હી: મણિપાલ હેલ્થ ન્ટરપ્રાઇઝીસ સાથે ફોર્ટિસ હેલ્થકેરના કરાર અટકાવવા માટે ડાઇચી સાન્ક્યોએ દિલ્‍હી હાઇકોર્ટમાં અરજી કરી છે અને આ કરાર અટકાવવા માંગણી કરી છે.

ડાઇચીની દલીલ છે કે હોસ્પિટલ ગ્રૂપના પ્રમોટર માલવિન્દર અને શિવિંદર સિંઘે જાપાનીઝ કંપનીને આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન એવોર્ડ ચૂકવવી જરૂરી છે. ડાઇચીની દલીલ પ્રમાણે આ સોદાથી એક મહત્ત્વની એસેટનું વેચાણ થશે જે તેના આર્બિટ્રેશનની ચુકવણી માટે ધ્યાનમાં લેવી જોઈએ. વ્યાજ અને કાનૂની ફી સાથે આર્બિટ્રેશનનું મૂલ્ય રૂૂ.3,500 કરોડ જેટલું થાય છે.

કોર્ટ ગુરુવારે આ અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે. સિંઘ અને પ્રમોટર ગ્રૂપ હાલમાં ફોર્ટિસ હેલ્થકેરમાં એક ટકા કરતાં ઓછો હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર 2017માં તેમનો હિસ્સો 34.43 ટકા હતો. લોનની સામે ગીરવે મુકાયેલા શેર્સ રિડિમ ન કરી શકવાના કારણે હિસ્સો ઘટ્યો છે. ફોર્ટિસ હેલ્થકેર લિ તથા સિંઘની હોલ્ડિંગ કંપની આરએચસી હોલ્ડિંગ પ્રા લિએ આ અંગે પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.

ડાઇચીએ માંગણી કરી છે કે કોર્ટ આ બાબતમાં તાત્કાલિક દરમિયાનગીરી કરે. તેની માંગ છે કે ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડને લગતા કોઈ પણ રિસ્ટ્રક્ચરિંગને અંતિમ ઓપ આપતાં પહેલાં વ્યાજ અને ખર્ચ સહિતની સમગ્ર રકમ કોર્ટમાં જમા કરાવવા માટે કંપનીને આદેશ આપવો જોઈએ.

ડાઇચી સાન્ક્યોએ અરજીમાં કહ્યું છે કે સિંઘબંધુ અને તેમની પત્નીઓને ભારત બહાર જવાની મનાઈ કરવી જોઈએ અને તેમના પાસપોર્ટ કોર્ટમાં ડિપોઝિટ કરાવવા જોઈએ. ઇટીએ આ અરજીની સમીક્ષા કરી છે. તેમાં જણાવાયું છે કે કોર્ટ પાસે જે નિર્દેશની માંગણી કરવામાં આવી છે તેનું સિંઘબંધુ દ્વારા પાલન ન થાય તો તેમની ધરપકડ કરવી જોઈએ.

અરજીમાં જણાવાયું હતું કે ફોર્ટિસ હેલ્થકેરમાં બંને પ્રતિવાદીના ભારમુક્ત શેરહોલ્ડિંગનું મૂલ્ય એ પ્રાથમિક સોર્સ છે જેના આધારે ચુકવણીની ખાતરી આપવામાં આવેલી છે. આ સોદાથી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર થશે અને ભારતમાં એવોર્ડનું અમલીકરણ નિષ્ફળ જશે.

લગભગ એક સપ્તાહ અગાઉ ડાઇચીએ સેબીને પત્ર લખીને વિનંતી કરી હતી કે ટ્રાન્ઝેક્શનમાં હાલના કેસના ઓર્ડરનો ભંગ નથી થતો તેવી મણિપાલ હેલ્થ ખાતરી આપે પછી જ સોદાને મંજૂરી આપવી જોઈએ. રૂૂ.3,900 કરોડના ફોર્ટિસ-મણિપાલ સોદાને કંપનીના બોર્ડ દ્વારા 27 માર્ચે મંજૂરી આપવામાં આવી હતી. તેમાં ફોર્ટિસ તેનો હોસ્પિટલ બિઝનેસ કાઢી નાખશે અને પ્રથમ તબક્કામાં મણિપાલ હોસ્પિટલ્સ સાથે મર્જ કરી દેશે.

ડાઇચીની લેટેસ્ટ અરજીમાં જણાવાયું હતું કે, ડીક્રી ધારકની જાણમાં આવ્યું છે કે ફોર્ટિસ હેલ્થકેર થર્ડ પાર્ટી રોકાણકારને નોંધપાત્ર પ્રમાણમાં એસેટ વેચવા માંગે છે. આ અરજી ફોર્ટિસ હેલ્થકેરના શેરનું મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝને વેચાણ અટકાવવા માટે કરવામાં આવી છે કારણ કે આવા સોદાથી ડીક્રીની રકમ માટે જરૂરી એસેટ નહીં રહે.

દિલ્હી હાઈ કોર્ટે ડાઇચીને જાન્યુઆરી 2018માં તેનો એવોર્ડ લાગુ કરવાની મંજૂરી આપી હતી પરંતુ સિંઘબંધુઓ દ્વારા તેની સામે અરજી કરવામાં આવી હતી જેના પર 9 એપ્રિલે સિંગાપોરમાં સુનાવણી થશે.

(6:03 pm IST)