Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સબરીમાલા : રિવ્યુ પિટિશન પર સુપ્રીમનો ચુકાદો અનામત

૪૮ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી : સુપ્રીમ કોર્ટમાં ચુકાદો અનામત રાખવામાં આવતા હજુય ભારે સસ્પેન્સની સ્થિતિ : ચુકાદા પર બધાની નજર હશે

નવી દિલ્હી, તા. ૬ : સબરીમાલા વિવાદના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. જો કે, મહિલાઓના પ્રવેશની રિવ્યુ પિટિશન ઉપર સુપ્રીમકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રિવ્યુ પિટિશન ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓમાં પણ આની ચર્ચા રહી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની બેંચે સબરીમાલા સંબંધિત ચુકાદા ઉપર ફેરવિચારણાની માંગ કરતી ૪૮ અરજીઓ ઉપર વિચારણા કરનાર છે. સુનાવણી દરમિયાન મંદિરમાં પ્રવેશ કરનાર બે મહિલાઓ બિન્દુ અને કનક દુર્ગા દ્વારા પણ પોતાની રજૂઆત કરવામાં આવી હતી. આ બંને મહિલાઓએ કોર્ટમાં કહ્યું હતું કે, મંદિરમાં પ્રવેશ કર્યા બાદથી તેમને સતત ધમકીઓ મળી રહી છે. તેમની જાન સામે ખતરો છે. સુપ્રીમ કોર્ટમાં આજે એવી ૪૮ અરજીઓ ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કેરળમાં સબરીમાલા મંદિરમાં તમામ વર્ગની મહિલાઓના પ્રવેશની મંજુરીવાળા તેમના ૨૮મી સપ્ટેમ્બરના ચુકાદા ઉપર ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે,  સુપ્રીમ કોર્ટે ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે. મહિલાઓને પ્રવેશની મંજુરી આખરે મળી ગઇ હતી. જો કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં શ્રદ્ધાળુઓના જોરદાર વિરોધના લીધે મહિલાઓને ઘણા દિવસો સુધી પ્રવેશની મંજુરી મળી શકી ન હતી. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બે મહિલાઓને પ્રવેશ કરવાની તક મળી ગઈ હતી. ત્યારબાદથી હોબાળો થયેલો છે. ૨૮મી સપ્ટેમ્બરના દિવસે પોતાનો ચુકાદો આપતા કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતું કે દરેક વયન મહલાઓ  હવે મંદિરમાં પ્રવેશ કરી શકશે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિમાં મહિલાનુ સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પુજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી હતી.

ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ આ ચુકાદો વાંચતા કહ્યુ હતુ કે ધર્મના નામ પર પુરૂષવાદી વિચારધારા યોગ્ય નથી. વયના આધાર પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની બાબત ધર્મનો અખંડ હિસ્સો હોઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૪-૧ની બહુમતિ સાથે આવ્યો હતો. ફેંસલો  વાંચતા ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે ભગવાન અયપ્પા ના ભક્તો હિન્દુ છે. આવી સ્થિતીમાં એક અલગ ધારેમક સંપ્રદાય બનાવવાના પ્રયાસ કરવા જોઇએ નહીં.

(7:53 pm IST)